
જુનાગઢ 23 ડિસેમ્બર (હિ.સ.) ચૂંટણીપંચ દ્વારા ગુજરાત સહિત કુલ ૧૨ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય ચૂંટણી પંચની યાદી મુજબ ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં મુદત વધારવામાં આવેલ છે. જે મુજબ તારીખ ૧૪/૧૨/૨૦૨૫ સુધીમાં ગણતરી ફોર્મ ભરવાનું અને જમા કરાવવાનો તબક્કો ચાલુ રહેશે.
ત્યારબાદ તારીખ ૧૯/૧૨/૨૦૨૫ ના રોજ ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તેમજ આ સમગ્ર પ્રક્રિયાના અંતે તારીખ તા૧૪/૨/૨૦૨૬ ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ થયે જે મતદારોના નામ કમી થયેલ હશે તેવા મતદાતાઓને મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટિસ અને સુનાવણીના તબક્કા દરમિયાન નોટિસ આપવામાં આવશે. ત્યારે મતદારો કુલ ૧૩ પૈકી કોઈ એક દસ્તાવેજ જમા કરી દાવો રજૂ કરી શકશે.
જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૩,૦૦,૩૪૪ મતદારો પૈકી કુલ ૧,૫૧,૩૨૭ મતદાતાઓની એએસડી યાદીમાં ( મૃત્યુ, ગેરહાજર, કાયમી સ્થળાંતર, ડુપ્લીકેટ તથા અન્ય ) સમાવેશ કરવામાં આવેલ છે. જે નામની બુથવાઈઝ યાદી મતદાતાઓ https://Junagadh.nic.in ઉપર જોઈ શકે છે.
મતદારો મતદાર નોંધણી અધિકારીના નિર્ણય સામે પ્રથમ અપીલ જિલ્લા ચૂંટણી અધિકારી જૂનાગઢને તથા તેમના નિર્ણય સામે બીજી અપીલ મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર ને કરી શકશે. એમ જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને જૂનાગઢ જિલ્લા કલેક્ટરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ