
પાટણ, 13 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના કમલીવાડા ગામના મેહરાજી ભરતજી ઠાકોર નામના દર્દીની ધારપુર G.M.E.R.S હોસ્પિટલમાં સ્પાઇનલ ડિફોર્મિટી (સ્કોલિઓસિસ)ની જટિલ સર્જરી આયુષ્માન યોજના હેઠળ વિનામૂલ્યે સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ સર્જરીથી તેમને છેલ્લા 5થી 7 વર્ષથી ચાલતી કમરના મણકાની અસહ્ય પીડામાંથી રાહત મળી છે.
મેહરાજી ઠાકોર લાંબા સમયથી આ ગંભીર બીમારીથી પીડાતા હતા. પાટણ અને મહેસાણાની ખાનગી હોસ્પિટલોમાં તપાસ દરમિયાન ઓપરેશન માટે 5થી 6 લાખ રૂપિયાનો ખર્ચ જણાવવામાં આવતા, આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ સારવાર કરાવી શક્યા ન હતા.
ત્યારબાદ તેઓ ધારપુર G.M.E.R.S હોસ્પિટલ ખાતે આવ્યા, જ્યાં ઓર્થોપેડિક વિભાગે સંપૂર્ણ તપાસ બાદ 20/11/2025ના રોજ લગભગ 6 કલાક ચાલેલી જટિલ સર્જરી સફળતાપૂર્વક કરી. આયુષ્માન યોજનાથી આ સારવાર સંપૂર્ણ વિનામૂલ્યે મળી અને ઓપરેશન બાદ દર્દીની તબિયતમાં નોંધપાત્ર સુધારો થતાં પરિવારજનોએ તબીબો અને સ્ટાફનો આભાર માન્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ