
અમરેલી, 13 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકારની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ની “યુવા આપદા મિત્ર” (YAMS) યોજના અંતર્ગત અમરેલી જિલ્લાના સ્વયંસેવકોને આપત્તિ વ્યવસ્થાપનની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ (GSDMA), ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ SDRF સેન્ટર ખાતે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં એન.સી.સી., એમ.વાય.બી. અને એન.એસ.એસ. સાથે જોડાયેલા સ્વયંસેવકોને આપત્તિ સમયે કેવી રીતે તાત્કાલિક પ્રતિસાદ આપવો, જીવ બચાવવાની પ્રાથમિક કાર્યવાહી, રાહત અને બચાવ કામગીરી, તેમજ આપત્તિ પછીની પુનર્વસન પ્રક્રિયા અંગે વ્યાવહારિક માર્ગદર્શન આપવામાં આવ્યું. આગ, પૂર, ભૂકંપ, ચક્રવાત, માર્ગ અકસ્માત જેવી સંભવિત આપત્તિઓ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે બાબતે વિગતવાર સમજ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન સ્વયંસેવકોને ફર્સ્ટ એડ, સીપીઆર, સર્ચ એન્ડ રેસ્ક્યુ, સ્ટ્રેચર હેન્ડલિંગ અને ટીમવર્ક અંગે પ્રાયોગની માહિતી અપાઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai