
સુરત,15 ડિસેમ્બર (હિ.સ.) સુરતમાં એબીવીપી કાર્યકરોએ યુવકને 'લવ જેહાદ'ના આક્ષેપ હેઠળ, જાહેરમાં માર માર્યો હતો. રવિવારે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ એક યુવકને 'લવ જેહાદ'ના આક્ષેપ હેઠળ ઘેરીને જાહેરમાં બેરહેમીથી માર માર્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં શહેરમાં કાયદો-વ્યવસ્થા કથળી હોવાના ગંભીર સવાલો ઉભા થયા છે.
ટ્રાફિક પોલીસની હાજરી વચ્ચે પણ હુમલો થયો હોવા છતાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, જ્યારે એબીવીપીએ આ ઘટનાને કોલેજ વિદ્યાર્થિનીની હેરાનગતિ સામે 'સ્વરક્ષણ' ગણાવ્યું છે.
સૂયારતની આ ઘટનામાં વિદ્યાર્થિની એબીવીપી જ એક કાર્યકરની બહેન હોવાને કારણે આ ઘણા ધ્યામાં આવી હતી. આ યુવક ઘણા સમયથી એક કોલેજની વિદ્યાર્થિનીને હેરાન કરતો હતો અને તેનો પીછો કરી રહ્યો હતો. અનેક ચેતવણીઓ આપવા છતાં યુવક ન માનતા, જ્યારે તે અઠવાલાઇન્સ પાસે દેખાયો ત્યારે કાર્યકરોએ તેને સમજાવ્યો હતો પરંતુ, તે માનવા તૈયાર નહોતો.
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલે ઉમરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા ચોંકાવનારી વિગત મળી છે કે, આટલી મોટી હિંસા છતાં હજુ સુધી કોઈપણ પક્ષ તરફથી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. જોકે, પોલીસનું કહેવું છે કે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ, એબીવીપી કાર્યકરોએ સ્પષ્ટ કર્યું છે કે, તે પોતાની બહેન-દીકરીઓની સુરક્ષા માટે કોઈ પણ હદે જઈ શકે છે. તેમનું કહેવું છે કે, જો પોલીસ રોમિયોગીરી કરનારા તત્વો સામે કડક પગલાં ન ભરે તો યુવા સંગઠનોએ મેદાને આવવું પડે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ