
અમરેલી,, 16 ડિસેમ્બર (હિ.સ.) ખાંભા તાલુકાના મોટાસમઢીયાળા ગામ ખાતે સમસ્ત મોટાસમઢીયાળા ગામ પરિવાર દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં મળેલા આત્મીય સન્માન બદલ ગામના સર્વે ગ્રામજનો પ્રત્યે દિલથી વંદન અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ અભિવાદન સમારોહમાં ગામના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જણાવાયું હતું કે, ગ્રામજનો દ્વારા મળેલો પ્રેમ, અડગ વિશ્વાસ અને અપાર સ્નેહ એ જીવનની સૌથી મોટી પૂંજી છે. આવા સન્માનથી વ્યક્તિને જનસેવાના માર્ગે વધુ ઉત્સાહ, વધુ દૃઢતા અને નવી ઉર્જા સાથે આગળ વધવાની પ્રેરણા મળે છે. ગામ પરિવાર દ્વારા વ્યક્ત કરાયેલો આત્મીય ભાવ અને એકતાનો સંદેશ સમાજ માટે પ્રેરણારૂપ છે.
સમારોહ દરમિયાન ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધવામાં આવ્યો હતો તથા ગામના વિકાસ, કલ્યાણ અને એકતાને આગળ વધારવા સૌ સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. ગ્રામજનોના સહકાર અને આશીર્વાદથી ભવિષ્યમાં પણ લોકહિત અને જનકલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.
મોટાસમઢીયાળા ગામ પરિવાર દ્વારા આયોજિત આ અભિવાદન સમારોહ માનવીય સંબંધો, પ્રેમ અને વિશ્વાસની સુંદર અભિવ્યક્તિ બની રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai