
ગાંધીનગર,19 ડિસેમ્બર (હિ.સ.) ભારતના સ્વતંત્રતા યજ્ઞમાં સામે ચાલીને પોતાનું રાજ્ય સોંપી દેનાર એવા સાચેસાચા પ્રજાના દરબાર શ્રી દરબારસાહેબ ગોપાળદાસ દેસાઈની 138મી જન્મજયંતિ નિમિત્તે આજે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભા ઇન્ચાર્જ સચિવ રીટાબેન મેહતાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી દરબારસાહેબે ગામડાના ખેડૂતો અને ગરીબ માણસો માટે ખૂબ સારા કાર્યો કર્યા હતા. તેમણે રાજા તરીકે મળતી સુવિધાઓ અને વૈભવની જગ્યાએ સાદગીને જીવનમાં ઉતારી હતી. શ્રી દરબારસાહેબે ખેડૂતોને શાહુકારો દ્વારા લેવામાં આવતા વ્યાજમાંથી મુક્ત કરવા માટે પણ ખૂબ પ્રયત્નો કર્યા હતા.
શ્રી દરબારસાહેબે આણંદ, બોરસદ, વડોદરા વગેરે જેવા અનેક સ્વાતંત્ર્ય સંગ્રામમાં આગેવાની લીધી હતી.
આ ઉપરાંત તેઓ સુરતના હરિપુરા ગામે ભરાયેલા રાષ્ટ્રીય અધિવેશનમાં સક્રિય રહ્યા હતા. શ્રી દરબારસાહેબે પોતાના રજવાડાનું વિલીનીકરણ થાય તે પહેલા સામે ચાલીને પોતાનું રાજ્ય સોંપી દીધું હતું.
આ પ્રસંગે વિધાનસભાના અધિકારી-કર્મચારીઓ તથા આર. જી. પટેલ કન્યા શાળા, ગાંધીનગરની વિદ્યાર્થીનીઓએ ઉપસ્થિત રહીને શ્રી દરબારસાહેબને પુષ્પ અર્પણ કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ