
ગીર સોમનાથ, 19 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યોએ આજે સાસણ ગીર ખાતે જંગલ સફારી કરી પ્રકૃતિના ખોળે વિહરતા એશિયાઈ સિંહોને નિહાળી અભિભૂત થયા હતા. આ ઉપરાંત સિંહોના સંરક્ષણ અને સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓ સંદર્ભે વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સમીક્ષા કરી હતી.
અંદાજ સમિતિના પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ અને સદસ્ય સર્વ કનુભાઈ પટેલ, હર્ષદ પટેલ, ભગવાનજી કરગટીયા, ભગાબારડ, જયદ્રથસિંહજી પરમાર, સંગીતાબેન પાટીલ, માનસિંહજી ચૌહાણ અને અરવિંદ પટેલ આ પ્રવાસ દરમિયાન એશિયાટીક સિંહના એકમાત્ર વસવાટ એવા ગીર નેશનલ પાર્ક અને અભયારણ્યની વિશેષતાઓથી અવગત થયા હતા. તેમજ એશિયાઈ સિંહોના સંરક્ષણના સંદર્ભમાં અને પ્રવાસીઓ માટે વ્યવસ્થાઓ સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને ગીર નેશનલ પાર્ક અને દેવળીયા પાર્ક ખાતે દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે ત્યારે પ્રવાસીઓ માટે કરવામાં આવેલી સુવિધાઓ સંદર્ભે જરૂરી અવલોકનો કર્યા હતા.
આ પ્રસંગે વન્ય પ્રાણી વર્તુળ જૂનાગઢના ડો. રામ રતન નાલા, વન્યપ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક ડો. મોહનરામ, ગીર પશ્ચિમના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ