


પોરબંદર, 30 ડિસેમ્બર (હિ.સ.)ભારત સરકારની મહત્વકાંક્ષી ‘પી.એમ. ’ (PM SHRI – PM Schools for Rising India) યોજના અંતર્ગત શિક્ષણની ગુણવત્તા વધારવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ યોજનાના ભાગરૂપે આજે શનિવારના રોજ પી.એમ. નવાપરા પ્રાથમિક શાળા, છાયા ખાતે ટિફિન બોક્સ વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
શાળાના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી સરકાર તરફથી પ્રાપ્ત થયેલા સુંદર તથા ટકાઉ ટિફિન બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વિશેષતા એ રહી કે વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેથી તેઓ સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર થઈ શકે.
કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય શ્રીમતી હીરલબેન દાસાએ વિદ્યાર્થીઓ તથા વાલીઓને સંબોધતા ‘પી.એમ. ’ યોજનાના ઉદ્દેશ્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત શાળાઓને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહી છે. સાથે જ, બાળકોને સરકાર દ્વારા આપવામાં આવતી દરેક સામગ્રીનો યોગ્ય અને સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી હતી. નવા ટિફિન બોક્સનો ઉપયોગ કરી બાળકો પૌષ્ટિક આહાર લે અને સ્વાસ્થ્ય જાળવે તે બાબતે પણ તેમણે ભાર મૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ અગાઉ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સ્કૂલ બેગ અને વોટર બોટલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તબક્કાવાર મળતી આ સહાયથી વાલીઓ પરનો આર્થિક બોજ ઘટ્યો છે અને બાળકોમાં ભણતર પ્રત્યે ઉત્સાહમાં વધારો થયો છે.
નવા ટિફિન બોક્સ પ્રાપ્ત થતાં બાળકોના ચહેરા પર ખુશી અને આનંદ ઝળહળી ઊઠ્યો હતો. વાલીઓએ સરકારની આ સરાહનીય કામગીરી તેમજ શાળાના સુવ્યવસ્થિત આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya