ગાંધીનગર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા, અને હોસ્પિટલમાં ગેરરિતી આચરતા લોકોને સરકાર ક્યારેય સાંખી લેશે નહીં. આવા લોકો સામે સરકારે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે અને આગળ પણ ધરશે.
તાજેતરમાં અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે ગુજરાત વિધાનસભામાં આજે પુછાયેલ પ્રશ્નોતરીના જવાબમાં આરોગ્યમંત્રી એ જણાવ્યું હતું કે, ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના અમાનવીય છે. હોસ્પિટલમાં સંકળાયેલા તબીબો, સંચાલકો દ્વારા હાથ ધરવામાં આવેલ અમાનવીય કૃત્ય બદલ તેમની સામે સરકારે પ્રથમ ફરિયાદી બનીને સખ્તમાં સખ્ત કાર્યવાહી અને સજા થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે.
ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત આ તમામ ગુનેગારો વિરૂધ્ધ સાપરાધ મનુષ્ય વધ, ખોટા દસ્તાવેજ ઉભા કરવા , છેતરપીંડી સહિતની કલમો લગાવામાં આવી છે.
સરકારે નિયત સમયમાં ચાર્જશીટ ફાઇલ કરીને તમામ ગુન્હેગારોને જલ્દી સજા મળે અને રાજ્યમાં અન્ય લોકો આ પ્રકારનું કૃત્ય કરતા ચેતે તે માટેના પ્રયાસો હાથ ધર્યા હોવાનું મંત્રી એ જણાવ્યું હતુ. ટુંક સમયમાં હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ વિરૃધ્ધ પણ પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે પ્રશ્નોતરી કાળમાં શરૂઆતના મુખ્ય 20 પ્રશ્નોમાંથી લગભગ સાત જેટલા પ્રશ્નો ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના અને PMJAY-મા યોજના સંદર્ભે હતા .જે તમામના જવાબ આપવા અને ગૃહમાં ઉપસ્થિત તમામ લોકોને તમામ જરૂરી અને મહત્વની માહિતીથી માહિતગાર કરાવવા આરોગ્ય મંત્રી એ પૂરેપૂરી તૈયારી દાખવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ