નવસારી, 11 જૂન (હિ.સ.)- ભારત સરકારના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના માર્ગદર્શન થી 29 મે થી 12 જૂન દરમ્યાન સમગ્ર ભારત દેશમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગતરોજ માણેકપોર અને વાસણ ગામના ખેડૂતોને ખેતીની અધતન તાંત્રિકતાઓ મળી રહે એ માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી.પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં ડો. પ્રસુલ આર. પટેલ, મદદનીશ પ્રાધ્યાપકે ચીકુના GI ટેગ તેમજ ચીકુની છટણી વિશે ખેડૂતોને માહિતી આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બાગાયત વૈજ્ઞાનિક ડો. દીક્ષિતા પ્રજાપતિ દ્વારા ચીકુની વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો જેમ કે ચીકુની ચિપ્સ, ચીકુનો ગોળ, ચીકુની બિસ્કીટ વગેરે તેમજ નવસારી કૃષિ યુનિવર્સીટી દ્વારા બહાર પડેલી ચીકુની જાત “ગણદેવી મુરબ્બા” વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. કેવીકના વૈજ્ઞાનિક ડો. સુમિત સાળુખે દ્વારા નવી ખેતીવાડી તથા બાગાયત યોજનાની ખેડૂતોને સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે જીલ્લાના વિવિધ વિભાગો જેવા કે ખેતીવાડી, બાગાયત, ઇફકો વગેરે સંસ્થાના અધિકારીઓ ઉપસ્થિત રહીને ખેડૂતોને સરકારની વિવિધ સરકારી યોજનાઓ વિગતવાર માહિતી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે