પાટણ, 11 જૂન (હિ.સ.) : પાટણ શહેરના આનંદ સરોવર નજીક રાત્રે એક નિરાધાર વ્યક્તિ દુકાનના પાટિયા પર લઘર-વઘર હાલતમાં સૂતેલા જોવા મળ્યા હતા. રાત્રી પેટ્રોલિંગ દરમિયાન એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. ભોય અને સ્ટાફે આ વ્યકતિને જોયા અને તરત જ આશરો સેવાકીય સંસ્થાના રોહિતભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો.
રોહિતભાઈ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે અને આશરો સંસ્થાની ટીમે મળીને નિરાધાર વ્યક્તિને પોલીસ વાન દ્વારા પાલિકા સંચાલિત સેન્ટર સુધી પહોંચાડ્યા હતા, જ્યાં તેમની સારસંભાળ લેવામાં આવી હતી.
ત્યાં તેમને સ્નાન કરાવ્યું, નવા કપડાં આપવામાં આવ્યા અને ભોજન પણ કરાવાયું. પાટણ એ-ડિવિઝન પોલીસ અને આશરો સંસ્થાની નિ:સ્વાર્થ સેવા પ્રવૃત્તિની પ્રશંસા કરવામાં આવી હતી. સ્ટાફે પણ આ માનવસેવાના કાર્યમાં સહભાગી બનીને માનવીય કરુણા વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર