વડોદરા, 11 જૂન (હિ.સ.)- વડોદરામાં આજે બે જુદી જુદી ઘટનામાં એક યુવક અને એક યુવતીએ ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. બંને કેસ અલગ વિસ્તારમાં બનેલા છે અને આપઘાત પાછળના કારણો હજુ અસ્પષ્ટ છે, જેને લઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રથમ ઘટના શહેરના તુલસીવાડી વિસ્તારમાં બની છે, જ્યાં 24 વર્ષની યુવતી પલ્લવી યોગેશભાઈ સોલંકીએ પોતાના નિવાસસ્થાને બપોરના સમયે સાડી વડે પંખાના હૂકમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટના બાદ કુંભારવાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પરિવારજનોના નિવેદનો લઈને કારણ ઓળખવા પ્રયાસો શરૂ કર્યા છે.
બીજી ઘટના ગોત્રી વિસ્તારમાં આવેલી કૃષ્ણા રેસિડન્સીની છે, જ્યાં 35 વર્ષના પ્રકાશ હીરાભાઈ પરમારએ પોતાના બેડરૂમમાં પંખા સાથે સાડી બાંધી આત્મહત્યા કરી લીધી હતી. ગોત્રી પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આપઘાતના કારણે સંબંધિત કોઈ દુખદ પરિસ્થિતિ તો નહીં હતી એ દિશામાં તપાસ ચાલુ છે.
આ દુઃખદ ઘટનાઓએ શહેરમાં ચિંતાની લાગણી જગાવી છે. મનોચિકિત્સક અને સામાજિક કાર્યકરોના મતે, આવા કિસ્સાઓ સામે સમાજમાં વધારે જાગૃતિ અને સહાનુભૂતિની જરૂર છે જેથી માનસિક તણાવથી પીડાતા લોકો સમયસર મદદ મેળવી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે