સુરત, 12 જૂન (હિ.સ.)- અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અફરાતફરી સર્જાઈ છે. ત્યારે લંડન જતાં આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે. ત્યારે આ પ્લેન દુર્ઘટનામાં સુરતના બે પરિવાર પણ હતાં. જેમાંના એક અડાજણ વિસ્તારમાં રહેતા ડોક્ટર અને રામપુરા વિસ્તારમાં રહેતું એક પરિવાર પણ આ પ્લેનમાં સવાર હતું.
સુરતના અડાજણ વિસ્તારમાં રહેનાર અને સ્મિત સર્જિકલ હોસ્પિટલના જાણીતા ડોક્ટર હિતેશ શાહ તેમના પત્ની અમિતાબેન સાથે લંડનમાં સારવાર માટે જઈ રહ્યા હતા. જાણવા મળ્યું છે કે તેઓ તેમના બહેનને ત્યાં રહેવા પણ રવાના થયા હતા.
તે ઉપરાંત, રામપુરા વિસ્તારમાં રહેનાર અને હાલમાં લંડનમાં વસવાટ કરતા અકીલભાઈ, તેમની પત્ની હાનાબેન અને દીકરી સારાએ થોડા દિવસ અગાઉ બકરીઈદના અવસરે ભારત આવ્યા હતા. તહેવારની ઉજવણી બાદ તેઓ લંડન પરત ફરતાં હતા ત્યારે આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર હોવાનું તેમના નજીકના સ્વજનો દ્વારા જણાવ્યું હતું.
દુર્ઘટનાની વધુ વિગતો હજુ સમાઈ રહી છે અને સત્તાવાર પુષ્ટિ માટે અધિકારીઓ દ્વારા તપાસ ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે