સુરત, 12 જૂન (હિ.સ.)- સુરતના મોટાવરાછા વિસ્તારમાં એક અનોખું માનવતાનું ચિત્તાર જોવા મળ્યું છે, જ્યાં વૃદ્ધ વડીલો ગરમીમાં જનતા માટે ઠંડકરૂપ બની રહ્યાં છે. મારુતિ ચોક ખાતે વડલાંની છાંયામાં પાંચ વડીલો પોતાની મરણમૂડી તથા પોતાના દીકરાઓ પાસેથી મળતા ખર્ચમાંથી રૂપિયા વાપરી લોકો માટે નિઃશુલ્ક છાશ વિતરણ કરી રહ્યા છે.
મનુદાદા દુધાત (બોરાળા), વિનુભાઈ બુટાણી (ભેસવડી), જીવનભાઈ હિરપરા (ખીજડીયા), કાનજીભાઈ તોરી અને હરસુખભાઈ (જુનાગઢ) જેવા વડીલો રોજ સવારે 9થી બપોરના 1:30 વાગ્યા સુધી 50 લિટર જેટલી છાશ લોકોમાં વહેંચે છે. ગાયના તબેલામાંથી છાશ લાવી પોતે મિશ્રિત કરીને, કોઈ પણ ડોનેશન લીધા વિના તેમની સ્નેહસેવા આત્મસંતોષથી નિભાવે છે.
આ સેવા માત્ર ઉનાળામાં ઠંડક નહીં, પણ સમગ્ર સમાજ માટે સંવેદનાની શીતલતા પણ છે. વૃદ્ધાવસ્થાની આ વ્યાખ્યા માનવતાની ઊંચી સિદ્ધિ તરીકે ઊભરી છે – જ્યાં વૃક્ષ ફળ ન આપે તો પણ છાંયાથી લાભદાયક બને છે, તેવી જ રીતે આ વડીલો સમાજને શીતલ સ્પર્શ આપી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે