વલસાડ, 12 જૂન (હિ.સ.)- આગામી તા. 21/06/25 ના રોજ દર વર્ષની જેમ આ 11મા વિશ્વ યોગ દિવસ 2025 ની ઊજવણી થનાર છે. યોગ દિવસ ઊજવણીના 10 વર્ષ પુરા થતા ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા 100 દિવસ યોગ ઊજવણી સંદર્ભમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નિયામકની કચેરી, ગાંધીનગરની પ્રેરણાથી અને વલસાડ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાના જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈધ ઊર્વીબેન સી.પટેલના માર્ગદર્શનથી સમગ્ર વલસાડની જાહેર જનતામાં યોગ જાગૃતિ ફેલાવવા માટે ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન દમણ ના 102.3 એફએમ પર રેડિયો પ્રોગ્રામનું રેકોર્ડિંગ કરવામાં આવ્યુ હતું. રેડિયો પ્રસ્તુતકર્તા સાથે આયુર્વેદ ખાતાના ડો.હેમિલ ડી.પટેલ દ્વારા ‘‘રોજબરોજના જીવનમાં યોગનું મહત્વ’’ વિષય પર રેકોર્ડિંગ કરાયેલા આ કાર્યક્રમનું પ્રસારણ તા. 21-06-2025 ના સવારે 8:30 થી 9:00 વાગ્યે થશે.
આ પ્રોગામમાં ડો. હેમિલ પટેલે લોકોને સંદેશ આપતા જણાવે છે કે, યોગ એ શરીર અને મન બંનેનું વિજ્ઞાન છે. જે શારીરિક, માનસિક, નૈતિક અને આધ્યાત્મિક રૂપે સ્વસ્થ જીવન જીવવાની કલા શીખવે છે. યોગાસનો દ્વારા સ્વસ્થ અને લાંબુ નિરોગી જીવન જીવી શકાય છે. ઘણા આસનો અને પ્રાણાયામ કરવાથી શરીરની મેદસ્વિતા પણ દુર કરી શકાય છે. યોગના આઠ અગો- અષ્ટાંગ યોગનું જીવનમાં મહત્વ સમજાવી યોગાસનના લાભ, સમય, યોગાસન કરવાની પદ્ધતિ અને સાવચેતીની માહિતી આપી હતી. યોગના 5000 વર્ષ જુના ઈતિહાસ વિશે ચર્ચા કરવામાં આવી હતી. વર્ષ 2014 ડિસેમ્બર માં 175 દેશોની અનુમતિ સાથે યુ.એન. દ્વારા 21 જુનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવા નો ઠરાવ પસાર થયો અને સૌપ્રથમ 21 જુન 2015 ના રોજ વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. 21 જુન વર્ષનો સૌથી લાબો દિવસ હોવાથી એ દિવસ પસંદ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંગે ડો. હેમિલ પટેલે જણાવ્યું કે, ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને મેદસ્વિતા અને બીજી અનેક સામાન્ય બીમારીના નિયંત્રણ માટે પદ્માસન, વજ્રાસન, મત્સ્યેન્દ્રાસન, ભુજંગાસન, શલભાસન, ધનુરાસન, મત્સ્યાસન, શવાસન, હલાસન, મયુરાસન અને શીર્ષાસન વગેરે આસનો તેમજ અનુલોમ- વિલોમ, ભસ્ત્રિકા, કપાલભાતિ પ્રાણાયામ ખૂબ જ મહત્વના છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સુર્ય નમસ્કાર એક સંપુર્ણ વ્યાયામ છે. એનાથી શરીરના દરેક ભાગો મજબુત અને નિરોગી બને છે. એ સિવાય પ્રાણાયામ કરવાની પદ્ધતિ, તેના લાભો વગેરે વિષય પર ડો.પટેલ દ્વારા ઊંડાણમાં ચર્ચા કરવામાં આવી હતી. આજના સમયમાં ભૌતિક વસ્તુઓ પાછળની સમજણ વિનાની દોડને કારણે શારીરિક બીમાર ઓ અને માનસિક યાતનાઓ વધી છે. આ બધી વિકારયુકત સ્થિતીમાંથી મુક્તિ મેળવવાનો રાજમાર્ગ યોગ છે એમ તેમણે જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે