અમદાવાદ, 13 જૂન (હિ.સ.) : અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લેનના ગોઝારા અકસ્માતમાં પોતાના જીવ ગુમાવનારા હતભાગી નાગરિકોને શ્રદ્ધાંજલિ પાઠવવા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની શાળાઓમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સભા અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ સૌએ બે મિનિટનું મૌન પાળીને સર્વે મૃતકોના આત્માને પરમાત્મા પરમ શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તે માટે પ્રાર્થના કરી હતી.
મૃતકોના પરિવાર પ્રતિ સાંત્વના સંદેશ પણ પાઠવવામાં આવ્યો હતો. આવી દુર્ઘટના બને ત્યારે એક નાગરિક તરીકેની આપણી ફરજો/કર્તવ્યો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ, કર્મચારીઓ અને શિક્ષકોને સરકાર દ્વારા અપીલ કરવામાં આવે ત્યારે રક્તદાન ઈત્યાદી રાહત અને બચાવની પ્રવૃત્તિઓમાં સામેલ થવાની તત્પરતા દાખવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ