પાટણ, 13 જૂન (હિ.સ.) : સોધર્મ બૃહત્તપાગચ્છ ત્રિસ્તુતિક જૈનાચાર્ય વિજય જયન્તસેનસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજ ચારીત્રરત્ન વિજયજી મહારાજ તથા મુનિરાજ અજીતસેનવિજયજી મહારાજ આદિ ઠાણાનું રવિવારના રોજ પાટણ નગરમાં આગમન થવાનો છે.
મુનિરાજના પાવન પદાર્પણ નિમિત્તે રવિવારે સવારે 7 વાગ્યે ડો. રાકેશભાઈ વી. મહેતાના દવાખાના પાસે ત્રણ દરવાજાથી મંગળ પ્રવેશની શોભાયાત્રા યોજાશે. શોભાયાત્રા પંચાસરા મંદિરના દર્શન કરી ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં પધારશે, જ્યાં ધર્મસભાનું આયોજન રાખવામાં આવ્યું છે. આ સભામાં મુનિરાજ દ્વારા પાવન પ્રવચન આપવામાં આવશે.
મુનિરાજ ચારીત્રરત્ન વિજયજી મહારાજ રવિવારથી શુક્રવાર સુધી ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય, પાટણ ખાતે બિરાજમાન રહેશે. ત્રિસ્તુતિક જૈન સંઘ પાટણ તરફથી સર્વ ભાઈ-બહેનોને આ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મુનિરાજનો ચાતુર્માસ આ વર્ષે શંખેશ્વર મહાતીર્થમાં નિમિત્ત થયેલો છે, જેનો પ્રવેશ 3 જુલાઈના રોજ થશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર