લંડનથી પ્લેન ઊપડ્યું ત્યારથી જ કેટલીક ટેક્નિકલ ખામીઓ હોવાના સુરતની મહિલાના ગંભીર આક્ષેપો
સુરત, 13 જૂન (હિ.સ.)- અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના ને પગલે સમગ્ર દેશમાં દુઃખની કાલીમાં થવાઈ જવા પામી છે. આ દુર્ઘટનામાં ભારત તથા વિદેશના મળી કુલ 241 મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એટલું જ નહીં પરંતુ આ દુર્ઘટનામાં મેડિકલ હોસ્ટેલમાં રહેલા કે
Surat


સુરત, 13 જૂન (હિ.સ.)- અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના ને પગલે સમગ્ર દેશમાં દુઃખની કાલીમાં થવાઈ જવા પામી છે. આ દુર્ઘટનામાં ભારત તથા વિદેશના મળી કુલ 241 મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એટલું જ નહીં પરંતુ આ દુર્ઘટનામાં મેડિકલ હોસ્ટેલમાં રહેલા કેટલાક રેસીડન્ટ ડોક્ટરોએ પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ કરૂણ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સમગ્ર ઘટનામાં લંડનથી અમદાવાદ આજ પ્લેનમાં આવેલા સુરતની મહિલાએ આ પ્લેન પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. મહિલાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે લંડનથી નીકળેલી આ ફ્લાઈટમાં પહેલેથી જ ઘણી બધી ટેકનિકલી ખામીઓ હતી. જેથી આ ફ્લાઈટ અમદાવાદ પહોંચાડશે કે કેમ તેવી પણ મનમાં અટકળો હતી. પરંતુ તેઓ અમદાવાદ એરપોર્ટની બહાર નીકળ્યા તરત જ આ ગંભીર ઘટના બનતા તેઓએ પોતાનો બચાવ જતા ભગવાનનો આભાર માન્યો હતો અને સાથે આ સમગ્ર ઘટના ખૂબ દુઃખદ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

સુરત શહેરમાં સરથાણા વિસ્તારમાં વ્રજ રાજ રેસિડન્સીમાં રહેતા સુરેશભાઈ કાલરીયાનો દીકરો લંડન તેની પત્ની સાથે વસવાટ કરે છે. જેથી ગત તારીખ 18/04/2025 ના રોજ સુરેશભાઈની પત્ની હીનાબેન દીકરાને અને વહુને મળવા માટે લંડન ગયા હતા. જ્યાંથી તેઓએ ગતરોજ લંડનના ગેટ વીક એરપોર્ટથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અમદાવાદ આવ્યા હતા. જોકે હીનાબેને ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે જ્યારે લંડનથી પ્લેન ટેક ઓફ કરતું હતું ત્યારે જ પ્લેનની અંદર સીટ પરની ડિસ્પ્લે બંધ હતી. જેથી તેઓએ એર હોસ્ટેસને ડિસ્પ્લે બાબતે રજૂઆત કરતા તેઓએ ટેકનિકલી ખામી હોવાને કારણે ડિસ્પ્લે બંધ છે. જેથી તમારે મોબાઈલ ફોનમાં જ જે જોવું હોય તે જોઈ શકશો તેવું જણાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ ટેક ઓફ વખતે એસી પણ બંધ હતું. જેથી આ મામલે પણ તેઓએ ફરિયાદ કરી હતી. પરંતુ પ્લેન ત્યાંથી નીકળી ગયા બાદ એક ઊંચાઈ સુધી પહોંચ્યું બાદમાં એસી ચાલુ થઈ ગયું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે એસટી બસમાં બેઠા હોઈએ અને રસ્તામાં ખાડા હોય અને જેમ ખટખટ અવાજ આવતો હોય તેવો આ પ્લેનમાં અવાજ આવતો હતો. જેથી એક ડર પણ લાગતો હતો કે આ પ્લેન ખરેખર અમદાવાદ સુધી પહોંચાડશે કે કેમ? આ ઉપરાંત જ્યારે પ્લેન અમદાવાદમાં એરપોર્ટ પર લેન્ડ થતું હતું ત્યારે પણ ખૂબ અવાજ આવતો હતો. જેના કારણે જીવ ગભરાવતો હતો અને પ્લેન બરાબર લેન્ડ થશે કે કેમ તેઓ પણ મનમાં કચવાટ અનુભવાતો હતો. પરંતુ તેઓ હેમખેમ નીકળી ગયા હતા અને અમદાવાદ એરપોર્ટ થી બહાર નીકળી હજુ સિવિલ પાસે જ તેમના પતિ સાથે કારમાં હતા ત્યાં જ આ જ પ્લેન ક્રેશ થયાની દુર્ઘટનાના સમાચાર તેમને મળતાની સાથે જ તેઓએ ભગવાનનો આભાર માન્યો હતો પરંતુ તેઓને આ બાબતે ખૂબ દુઃખ થયું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. વધુમાં હીનાબેને જણાવ્યું હતું કે તેઓ આ ઘટનાને પગલે આખી રાત સુઈ શક્યા ન હતા.

હીનાબેને ત્રણ વૃદ્ધ મહિલાઓને લંડનથી અમદાવાદ પરિવાર સુધી પહોંચાડ્યા

સુરત આવેલા હીનાબેન લંડનથી પ્લેનમાં બેઠા ત્યારે તેમની આજુબાજુમાં ત્રણ વૃધ્ધાઓ બેઠી હતી. જેથી આ ત્રણેય વૃદ્ધ મહિલાઓ એકલી હોવાને કારણે લંડનમાં રહેતા તેમના પરિવારજનોએ માનવતાના ધોરણે હીનાબેનને જવાબદારી સોંપી હતી. આ મામલે વાત કરતા હીનાબેને જણાવ્યું હતું કે નડિયાદના વતની 60 થી 65 વર્ષીય વૃધ્ધાના પરિવારજનો તથા અમદાવાદમાં રહેતી 70 વર્ષીય મુસ્લિમ મહિલાના પરિવારજનો અને અમદાવાદ માં રહેતા તથા મૂળ મહેસાણાના વતની 70 વર્ષીય વૃધ્ધાના પરિવારજનોએ લંડન તેમની સાથે વાતચીત કરી નંબરની આપ લે કરી હતી અને આ ત્રણેય વૃદ્ધા ના પરિવારોએ એરપોર્ટ પર પહોંચે એટલે મેસેજ કરી જાણ કરી દેવા માટે જણાવ્યું હતું અને ત્યાં સુધી તેમની દેખભાળ કરવા માટે પણ કહ્યું હતું. જેથી હિનાબેને આ ત્રણેય વૃદ્ધા સાથે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા બાદ ત્રણેયને પોતાના પરિવાર સુધી મુલાકાત કરાવી દીધી હતી. આ ઉપરાંત લંડનમાં રહેતા તેમના સ્વજનોને મેસેજ કરી હેમખેમ અમદાવાદ સુધી પહોંચી ગયા હોવાનું પણ જણાવી દીધું હતું. જો કે આ ત્રણેય પરિવારો નીકળી ગયા બાદ તેઓ પતિ સાથે સુરત આવવા માટે કારમાં નીકળ્યા હતા અને તેઓની કાર અમદાવાદ એરપોર્ટની બહાર સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી હતી ત્યાં જ પ્લેન ક્રેશ થયાના સમાચાર તેમને મળ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande