મોડાસા, 17 જૂન (હિ.સ.) અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા પ્રાંતવેલ ગામની સીમમાં આવેલ જમીનમાં મહેશભાઇ પટેલ, શાંતાબેન પટેલ અને નિમેશભાઇ પટેલ દ્વારા બાગાયતી ખેતીમાં આંબાની ખેતી કરીને આજના યુગમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. બંને યુવાનો વ્યવસાયે પોતાના ધંધાની સાથે આધુનિક ખેતી કરવાની ઘેલછા સાથે બે વર્ષ પહેલા પોતાની માલીકીની અંદાજીત ૨૫ હેક્ટર જેટલી જમીનમાં ૨૫૦૦૦ થી વધુ આંબાની વિવિધ જાતો જેવી કે કેસર, આફુસ, આમ્રપાલી, લંગડો, તોતાપુરી, રાજાપુરી, બારમાસી આંબા જેવી જાતોનું વાવેતર કર્યું. ડુંગરાળ વિસ્તારમાં કોઇ પહોંચી ન શકે તેવા વિસ્તારમાં આંબાની ખેતી વિશે વિચાર કરીને સફળતાપૂર્વક ખેતીને એક અભિયાન તરીકે લઇને પોતાના વિચારને એક સફળ અનુભવમાં પરિવર્તિત કર્યો.
બાગાયત વિભાગ, અરવલ્લીના માર્ગદર્શન હેઠળ ટપક પધ્ધતિથી ઘનિષ્ઠ ખેતીથી આંબાની વિવિધ જાતોનું પ્રકૃતિના ખોળામાં આશરે ૨૫૦૦૦ આંબાની કલમોનું વાવેતર કરી પોતાની ખેતીની શરૂઆત કરી. તેઓને શરૂઆતમાં ઘણા પડકારોની વચ્ચે પણ પોતાના મક્કમ વિશ્વાસ થકી ઉત્તર ગુજરાતના સુકા આબોહવાવાળા વિસ્તારમાં પણ કેરીની મીઠી સુવાસ ફેલાવી રહ્યા છે. ઉત્પાદનના પ્રથમ વર્ષે પ્રતિ ઝાડ ૬ થી ૮ કિલોગ્રામ જેટલું ઉત્પાદન લઇ પોતાની પેદાશનું શહેરી વિસ્તાર તેમજ બહારના દેશોમાં પણ નિકાશ કરી રહ્યા છે. તેઓના આ ઉમદા અને સાહસી પ્રયત્નો થકી આજુબાજુના અન્ય ખેડૂતો પણ આ દિશામાં આંબાની ખેતી તરફ પ્રેરાયા છે. આમ જોતાં, પ્રથમ વર્ષે તેઓ દ્વારા અંદાજીત ૨૫ થી ૩૦ ટન જેટલુ માતબર ઉત્પાદન લઇ જિલ્લા અને રાજ્યના ફળ પાક વિસ્તાર અને ઉત્પાદનમાં એક વિશેષ યોગદાન પૂરૂ પાડ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ