પાટણ, 17 જૂન (હિ.સ.) : પાટણના કનસડા દરવાજા સ્થિત શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયના આસ્થા હોલમાં ‘મને જાણો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સિદ્ધપુરના વિદ્વાન વક્તા દિલીપભાઈ પુરોહિતે “સાંપ્રત સમયમાં નરસિંહ મહેતા” વિષય પર ભાવસભર અને વિચાર્પ્રેરક વક્તવ્ય આપ્યું. તેઓએ નરસિંહ મહેતાના પ્રસિદ્ધ પદો જેમ કે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરી’, ‘સુખ દુઃખ મનમાં ન આણીએ’ અને ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’નું અર્થસભર વિશ્લેષણ કર્યું અને તેમના સિદ્ધાંતોની આજના સમયમાં લાગુ પડતી પ્રસ્તુતતા વિશે વિસ્તૃત રીતે ચર્ચા કરી.
દિલીપભાઈએ તેમના વક્તવ્યમાં ઈશ્વરમાં શ્રદ્ધા, જીવનની ઘટનાઓમાં સમભાવ, સામાજિક સમરસતા અને કર્મમાં અનાસક્તિ જેવા મૂલ્યોને સમજાવતાં જણાવ્યું કે આજે પણ નરસિંહ મહેતાની વિચારધારા પ્રેરણાદાયી છે. કાર્યક્રમના પ્રમુખ ડૉ. શૈલેષ બી. સોમપુરાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. સાથે પાટણની સરકારી શાળાઓમાં ધોરણ 1ના વિદ્યાર્થીઓને દેશી હિસાબ શીખવવાની યોજના વિશે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં વક્તાનો પરિચય નગીનભાઈ ડોડીયાએ આપ્યો અને આભારવિધી મહાસુખભાઈ મોદીએ નિભાવવી. પ્રોગ્રામમાં ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં શ્રોતાઓએ હાજરી આપી અને ભાવનાત્મક તથા તત્વચિંતન ભર્યું વક્તવ્ય માણ્યું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર