ગીર સોમનાથ, 17 જૂન (હિ.સ.) અમદાવાદથી લંડનની ઉડાન ભરી રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 171 વિમાન ટેકઓફ થયાની 2 મિનિટમાં ગુરુવારે બપોરે 1:40 કલાકે મેઘાણીનગર આઇજીપી કંપાઉન્ડમાં ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 240થી વધુ પેસેન્જર અને ક્રૂ મેમ્બર હતા.
આ પ્લેનમાં ગીર સોમનાથ જિલ્લાના કુલ-૫ પેસેન્જર હતા.જે પૈકી ૩(ત્રણ) પેસેન્જર ગીર ગઢડા તાલુકાના હતા. જેઓનું પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.
આ ત્રણ મૃતકો પૈકી જરગલી ગામના નીલ અરવિંદભાઇ ખુટનું અમદાવાદ ખાતે થયેલાં દુર્ભાગ્યપૂર્ણ પ્લેનક્રેશમાં તેમનું દુઃખદ અવસાન થયું હતું.
વહીવટીતંત્ર દ્વારા પરિવારજનોનો સંપર્ક કરી સાંત્વના પાઠવવામાં આવી હતી. મૃતકનું બોડી લઈ આવવા તથા સમગ્ર કાર્યવાહી માટે પ્રાંત અધિકારીઉનાને નોડલ અને મામલતદારશ્રી, ગીર ગઢડાને સહ નોડલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. મૃતકના પરિવાર સાથે સંકલનની કામગીરી માટે બે ડોક્ટર તથા એક નાયબ મામલતદારની ટીમને અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી.
આ ટીમ દ્વારા મૃતકના પરિવારજનો સાથે રહીને સંકલન કરવામાં આવ્યું હતું,જેમાં મૃતક નીલ અરવિંદભાઇ ખુટનુ DNA મેચ થતાં મૃતકના પરિવારને તા.૧૬/૬/૨૦૨૫ના સાંજે બોડી સુપરત કરવામાં આવી હતી.જે ગઇકાલે રાત્રે તેમના પરિવારજનો સાથે મેડિકલ ઓફિસર, પોલીસ એસ્કોર્ટ સાથે આજ તા.૧૭/૦૬/૨૦૨૫ના રોજ સવારના ૬-૩૦ કલાકે જરગલી ગામે પહોંચતા આજરોજ નીલ અરવિંદભાઇ ખુટ ના અંતિમ સંસ્કાર કરાયાં હતાં.
નીલભાઇની અંતિમ યાત્રામાં જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા , ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, , જીલ્લા ભાજપના પ્રમુખશ્રી ડો. સંજયભાઈ પરમાર, તાલુકા ભાજપ, કારોબારી ચેરમેનશ્રી, જીલ્લા પંચાયત, ગીર સોમનાથ મામલતદાર, ગીર ગઢડા, પોલીસ ઇન્સ્પેકટરશ્રી,ગીર ગઢડા જોડાયાં હતા અને તેમના પરિવારને મળીને સાંત્વના આપી હતી અને દુઃખની આ પળોમાં સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિવારને શક્ય તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ