પાટણ, 17 જૂન (હિ.સ.)પાટણ શહેરમાં ચોમાસાની ઋતુ નજીક છે ત્યારે આનંદ સરોવરથી રોયલ હોમ્સ સુધીની કેનાલમાં પડેલી વધુ માટી, કચરો અને ગંદું પાણી સ્થાનિક રહીશો માટે ચિંતાનો વિષય બન્યું છે. વોર્ડ નં.-7ના કોર્પોરેટરે પાટણ નગરપાલિકાને લેખિતમાં જાણ કરી હતી કે ચોમાસામાં વરસાદી પાણી ભરાશે અને ગંદકીના કારણે રહીશોને તકલીફો અને આરોગ્યને ખતરો ઊભો થવાનો ભય છે.
નગરપાલિકા તરફથી કોઈ જવાબ ન મળતા, કોર્પોરેટરે નગરપાલિકાના એસ.આઈ. આસમાન પાલને ટેલિફોન પર જાણ કરી હતી. ત્યારબાદ આસમાન પાલ અને કોર્પોરેટરે આનંદ સરોવરથી જીવનધારા સુધીની કેનાલનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન કેનાલ પરના દરવાજાના ઢાંકણા ખોલવા નગરપાલિકાના એન્જિનિયરને પણ જાણ કરવામાં આવી હતી.
એસ.આઈ. આસમાન પાલે આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયમાં કેનાલની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે જેથી ચોમાસા દરમિયાન રહીશોને કોઈ સમસ્યા ન ઊભી થાય.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર