પોરબંદર, 19 જૂન (હિ.સ.) : આગામી 21 જૂનના રોજ ઉજવાનાર વિશ્વ યોગ દિવસના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં યોગ બાબત જાગૃતિ તથા તાલીમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અન્વયે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પોરબંદરના કોર્ડીનેટર શ્રી કેતન કોટીયાના માર્ગદર્શન હેઠળ યોગ ટ્રેનરોને વિવિધ યોગ આસનો અંગે તાલીમ આપવામાં આવી રહી છે.
આ અંગે વાત કરતા કેતન કોટીયા દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, હાલ વિશ્વ યોગ દિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે તેના અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પોરબંદરના ટ્રેનરોને વિવિધ યોગ આસનોની ટ્રેનીંગ તેમજ તે આસનોના મહત્વ તથા તેનાથી થતા ફયદાઓ વિશે માહિતી આપવામાં આવી રહી છે.
તાડાસનનું મહત્વ અને ફાયદાઓ
જેમાં આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પોરબંદરના કોર્ડીનેટર કેતન કોટીયા દ્વારા તાડાસનનું મહત્વ અને ફાયદાઓ જણાવતા કહેવામાં આવ્યું હતું કે, તાડાસન ખૂબ જ મહત્વનું આસન છે તેનાથી બાળકોની ઊંચાઈ વધે છે, એન્કલ પોઇન્ટમાં પણ મજબૂતી આવે છે તેમજ શરીરના તમામ સ્નાયુઓમાં એક સકારાત્મક ખેંચાણ ઉત્પન્ન કરીને સમસ્ત શરીરને આસનના માધ્યમથી સમસ્ત સ્નાયુઓને લાભ થાય છે.
વૃક્ષાસનનું મહત્વ અને ફાયદાઓ
ત્યારબાદ યોગ ટ્રેનર્સને વૃક્ષાસનનો પણ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો, વૃક્ષાસનનું મહત્વ સમજાવતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પોરબંદરના કોર્ડીનેટર કેતન કોટીયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ સંતુલનનું આસન છે સંતુલનના કોઈપણ આસન કરવાથી એકાગ્રતામાં, બુદ્ધિમાં અને સ્મૃતિ શક્તિમાં પણ વધારો થાય છે. તેની સાથે-સાથે પગના સ્નાયુઓ પણ મજબૂત બને છે.
અંતે, તેમના દ્વારા તમામ નાગરિકોને યોગને પોતાના રોજિંદા જીવનમાં સમાવિષ્ટ કરી સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાની અપીલ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya