ગાંધીનગર, 20 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસ અને વસુધૈવ કુટુંબકમની ભાવનાથી સમગ્ર વિશ્વ તા. 21 જૂને આ વર્ષે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવશે. આ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં એક સમાન આસનો, પ્રાણાયામ અને સૂક્ષ્મ વ્યાયામથી થાય, તે માટે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા 45 મિનિટનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે, જે કોમન યોગ પ્રોટોકોલ તરીકે જાણીતો બન્યો છે. જેમાં નાગરિકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
સમગ્ર વિશ્વ 21 મી જૂને સામાન્ય યોગ અભ્યાસક્રમ (કોમન યોગ પ્રોટોકોલ) કરશે ત્યારે આ પ્રોટોકોલમાં શું છે? તેનાથી શુ ફાયદો થશે અને કયારે સૂક્ષ્મ વ્યાયામ કરવા, આસન કયારે કરવા અને પ્રાણાયામ તેમજ ધ્યાન, શાંતિ પાઠ અને સંકલ્પ કયારે કરવો, તે જાણવુ દરેક નાગરિક માટે ઉપયોગી છે.
કોમન યોગ પ્રોટોકોલના મુખ્ય ઘટકોમાં સૌ પ્રથમ સંગઠન મંત્રના ઉચ્ચારથી શરૂઆત કરવામાં આવે છે. ત્યારબાદ સૂક્ષ્મ વ્યાયામ, આસન, શવાસન, પ્રાણાયામ, ધ્યાન, શાંતિ પાઠ અને સંકલ્પ કરવામાં આવે છે. જેની વિસ્તૃત વિગત જોઈએ તો, સૂક્ષ્મ વ્યાયામમાં ગરદન, ખભા, કમર અને ઘૂંટણના સૂક્ષ્મ વ્યાયામ કરાવવામાં આવશે જેનાથી શરીરના સાંધા મજબૂત અને લચીલા બને છે. શરીરમાં રક્ત પ્રવાહ અને રક્ત પરિભ્રમણ તંત્ર સુધરે છે અને વધુ અસરકારક બને છે, જે શરીરમાં ઓક્સિજન પહોંચાડી મગજને આરામ આપે છે સાથે ચેતાતંત્ર (નર્વસ સિસ્ટમ)ને પણ સુધારે છે. લાંબા સમય સુધી બેસીને કાર્ય કરતા લોકોને આનાથી અનેક ગણા ફાયદા થાય છે. વૃદ્ધ અને નબળા લોકો માટે આ એક સંપૂર્ણ અને ઉપયોગી વ્યાયામ છે જેનાથી તેઓને આસન દરમિયાન હળવાશ અને આરામની અનુભૂતિ થાય છે.
ત્યારબાદ આસનો કરાવવામાં આવશે, આસનોમાં જોઈએ તો, ઊભા રહીને, બેસીને, ઊંધા અને સીધા સૂઈને કરવાના આસનો કરાવવામાં આવશે, જેમાં તાડાસન વૃક્ષાસન, ભૂજંગાસન, પાદ હસ્તાસન, પવન મુક્તાસન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ આસાનોથી શરીર મજબૂત બને છે. સાંધા, હૃદય અને ફેફસા મજબૂત બને છે. વજન નિયંત્રણમાં રહે છે. ચરબી ઓછી થાય છે, હોર્મોન્સનું બેલેન્સ જળવાઈ રહે છે. મેટાબોલિઝમ સિસ્ટમ પણ સુધરે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. માનસિક શાંતિ અને એકાગ્રતા પણ વધે છે. ચિંતા દૂર થાય છે અને નિંદ્રામાં પણ સુધારો થાય છે. તાડાસન ઊંચાઈ વધારવા માટે ખૂબ લાભદાયી આસન છે. વૃક્ષાસન સંતુલન અને એકાગ્રતા માટે, ભૂજંગાસન પીઠના દુખાવા માટે ઉત્તમ છે અને પવન મુક્તાસન વાયુ સમસ્યા અને પાચનક્રિયા માટે ઉપયોગી છે. શવાસનથી તણાવ દૂર થાય છે. સેતુબંધ આસન થાઇરોડ, હૃદય અને રક્ત પ્રવાહ માટે લાભકારી છે.
ત્યારબાદ પ્રાણાયામ સત્રનો અભ્યાસ કરવામાં આવશે, જેમાં ભ્રસ્તિકા, કપાલભાતિ, અનુલોમ વિલોમ, શીતલી અને ભ્રામરી પ્રાણાયામ અને ધ્યાન કરાવવામાં આવશે. પ્રાણાયામથી ફેફસાંની ક્ષમતા વધે છે, હૃદય અને રક્ત સંચાર સુધરે છે. પાચન તંત્ર અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ચિંતા, ડિપ્રેશનમાં ઘટાડો થાય છે, મન શાંત થાય છે, ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાય કરે છે અને અનિંદ્રા દૂર થાય છે. મગજમાં સેરોટોનીન (સુખદ હોર્મોન્સ)નું સ્તર વધે છે.
ધ્યાન એ યોગનો ઊંડો અને શાંતિદાયક અભ્યાસ છે, જેનાથી શરીર, મન અને આત્મા ત્રણે સ્તરને લાભ મળે છે. જો દરરોજ થોડો સમય ધ્યાન માટે કાઢવામાં આવે તો જીવનમાં ઊંડા અને સ્થાયી પરિવર્તનો લાવવામાં મદદરૂપ થાય છે. ચિંતા, ડિપ્રેશન મગજનો થાક, નકારાત્મક વિચારો, તણાવ દૂર કરવામાં મદદરૂપ થાય છે. એકાગ્રતા અને આધ્યાત્મિક શાંતિ મળે છે. વિદ્યાર્થી માટે ખૂબ જ લાભકારી છે. ગુસ્સો, ઈર્ષ્યા અને ડર જેવી નકારાત્મક લાગણીઓ ઓછી થાય છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.
45 મિનિટના કોમન યોગ પ્રોટોકોલ અંગે વધુમાં જણીએ તો, પ્રારંભની 1 મિનિટ પ્રાર્થના, 6 મિનિટ સૂક્ષ્મ વ્યાયામ, 25 મિનિટ યોગના આસનો અને 12 મિનિટમાં પ્રાણાયામ, ધ્યાન અને સંકલ્પ કરવામાં આવશે, જ્યારે છેલ્લી એક મિનિટ શાંતિ મંત્રનો પાઠ કરવામાં આવશે.
અમદાવાદ જિલ્લાના તમામ નાગરિકો તા. 21 જૂને વિશ્વ યોગ દિવસની ઠેર ઠેર થનારી ઉજવણીનો મોટી સંખ્યામાં લાભ લે તો આપણો દેશ, રાજ્ય અને અમદાવાદ જિલ્લો ખરા અર્થમાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાનને ચરિતાર્થ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ