વલસાડ, 20 જૂન (હિ.સ.)- વલસાડ જિલ્લામાં તા. 19-06-2025 ના રોજ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઔરંગા નદીના પાણી વલસાડ શહેરના વોર્ડ નં- 02 ના નીચાણવાળા વિસ્તાર કાશ્મીરનગર, બરુડિયાવાડ, તરીયાવાડ અને બંદર રોડ જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જે અંગે જિલ્લા કલેકટર ભવ્ય વર્માએ સ્થળ નિરિક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બીજા દિવસે શુક્રવારે ઉઘાડ નીકળતા વલસાડ નગરપાલિકાના પ્રમુખ મતી માલતીબેન ટંડેલ અને ચીફ ઓફિસર કોમલબેન ધીનૈયાના સીધા માર્ગદર્શન હેઠળ જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યાં રોગચાળો ન ફેલાઈ તેની તકેદારી રાખવામાં આવી હતી. આ વિસ્તારમાં પાલિકાના રૂટિન સ્ટાફ અને વાહનો સિવાય વધારાના 30 સફાઈ કામદારો અને વધારાના 3 ટ્રેકટર ફાળવી 3 ટુકડી દ્વારા જરૂરી સાફ સફાઈ અને જંતુનાશક દવાનો છંટકાવ સહિતની સફાઈલક્ષી કામગીરી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે