પાટણ, 20 જૂન (હિ.સ.) : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લામાં 12 જુલાઈ 2025ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાટણ અને તમામ તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા યોજાશે. લોક અદાલતનું માર્ગદર્શન મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પ્રશાંત એચ. શેઠ આપશે.
આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના કેસોનો નિરાકરણ પારસ્પરિક સમજૂતીથી લાવવામાં આવશે. જેમાં ફોજદારી કેસો, નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ (ચેક રિટર્ન) સંબંધિત કેસો, વાહન અકસ્માત કેસો, મજૂર, લગ્નજીવન, પરિવાર અને જમીન વળતર સંબંધિત કેસોનો સમાવેશ થાય છે. સાથે સાથે બેંક તથા પ્રિલિટિગેશન – અદાલતમાં દાખલ ન થયેલ પણ વિવાદયુક્ત કેસો પણ રજૂ કરી શકાય છે.
જે કોઈ પણ નાગરિક પોતાના કેસનો નિકાલ લોક અદાલત દ્વારા કરાવવા ઇચ્છે, તેઓ પોતે અથવા તેમના વકીલ મારફતે સંબંધિત અદાલતમાં અરજી કરી શકે છે. વધુ માહિતી માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરીનો સંપર્ક કરવા જણાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર