પાટણ, 20 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા-2013 હેઠળ કુલ 2,41,955 કુટુંબો અને 11,40,401 વ્યક્તિઓ નોંધાયેલા છે. હાલમાં 1,713 કુટુંબો અને 1,44,557 વ્યક્તિઓનું ઈ-કેવાયસી બાકી છે. જેમાંથી 0થી 5 વર્ષના 22,024 બાળકો અને 70 વર્ષથી વધુ ઉંમરના 1,937 વૃદ્ધોને ઈ-કેવાયસી વગર અનાજનો લાભ મળતો રહેશે.
જિલ્લા પુરવઠા તંત્ર અનુસાર બાકીના 1,20,596 લાભાર્થીઓએ 30 જૂન 2025 સુધીમાં ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. રેશનકાર્ડ ધારકોને જૂન 2025 માટે ઘઉં અને ચોખાનું વિતરણ કેન્દ્ર સરકાર તરફથી મળશે, જ્યારે રાજ્ય સરકાર તરફથી ખાંડ, મીઠું, ચણા અને તુવેરદાળ મળશે. જુલાઈ અને ઓગસ્ટ માસ માટેનો અનાજ જથ્થો પણ ચાલુ મહિનામાં આપવામાં આવશે.
જિલ્લા તંત્રે 12.68% બાકી રહેલા લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ કરાવ્યા છે. પોસ્ટ વિભાગના કર્મચારીઓ, મામલતદાર કચેરી, ઈ-ગ્રામ સેન્ટર, સસ્તા અનાજની દુકાનો અથવા ‘માય રેશન’ મોબાઈલ એપના માધ્યમથી લાભાર્થીઓ સરળતાથી ઈ-કેવાયસી કરાવી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર