પોરબંદર, 20 જૂન (હિ.સ.) યોગને વૈશ્વિક સ્વીકૃતિ અપાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાને અનુસરીને ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ –21 જૂન 2025, ના દિવસે સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાનએ “મન કી બાત” કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આપેલા આહ્વાનને અનુસરીને, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યોગ અને પ્રાણાયામ દ્વારા “સ્વચ્છ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભીયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.આજ અનુસંધાને આવતીકાલે એટલે કે 21 જૂન (શનિવાર) ના રોજ પોરબંદર જિલ્લા કક્ષાનો યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ”ના સંકલ્પ સાથે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા તથા પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પરબત પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં સવારે 05:45 કલાકે હજુર પેલેસ પાછળ, ચોપાટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે.
આ અંગે યોગ શિબિર્થીઓ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુચનો કરવામાં આવ્યા છે કે, યોગ માટે નાગરિકોએ સવારે ખાલી પેટે આવવું, દરેક નાગરિકે ખુલ્લો, સારો પોશાક પડેરવો આવશ્યક છે મહિલાઓએ સલવાર કુર્તા ડ્રેસ પહેરવો, જેથી યોગ અભ્યાસ માટે સાનુકૂળતા રહે, શકચ હોય તો સકેદ વસ્ત્રો પહેરવા, નાગરિકોએ સમયથી 30 મિનિટ વહેલા આવી સ્થાન મેળવી લેવું, તેમજ દરેક નાગરિકે પોતાના શરીરની મર્યાદા મુજબ જ યોગ અભ્યાસ કરવો અને જરૂર જણાય તો નિર્દેશક અથવા સ્વયંસેવકોનો સંપર્ક કરવો.
પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વધુમાં વધુ નાગરિકોને આ યોગ દિવસના મહાયજ્ઞમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે, જેથી સમગ્ર સમાજમાં આરોગ્યપ્રદ જીવનશૈલી વિકસાવી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya