અમદાવાદ, 20 જૂન (હિ.સ.) : અમદાવાદમાં આગામી 27મી જૂને ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાનાર છે જે જમાલપુર જગન્નાથજીના મંદિરથી પ્રસ્થાન થઈ સરસપુર ખાતે આવેલ મોસાળ જઈ સાંજે નિજમંદિર પરત ફરશે જેમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર જોડાશે.
ત્યારે શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન તથા મ્યુનિ. કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
રથયાત્રા રૂટના નિરીક્ષણ વખતે મેયર દ્વારા ઇજનેર વિભાગ, એસ્ટેટ વિભાગ તથા સોશિયલ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા.
અત્રે ઉલ્લેનીય છે કે, રથયાત્રાના રૂટમાં ઇજનેર વિભાગ દ્વારા રોડને મીલીંગ કરીને હેવી પેચવર્ક તથા ફૂટપાથ રિપેરિંગ કરી કલર કરવાની કામગીરી તથા જરૂરિયાત મુજબના રોડ લેવલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત એસ્ટેટ વિભાગ દ્વારા દ્વારા મધ્યઝોનમાં ભયજનક મકાનો ઉતારી લેવાની કામગીરી કરાઈ હતી. જે અંતર્ગત 525 જેટલા બાંધકામોને નોટિસ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત આજ દિન સુધી 22 જેટલા ભયજનક બાંધકામો ઉતારી લેવામાં આવ્યા છે.
રૂટ નિરીક્ષણ દરમિયાન ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી તથા અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ, જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પણ જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ