પાટણ, 20 જૂન (હિ.સ.)પાટણ શહેરમાં આ વર્ષે અષાઢી બીજના દિવસે યોજાનારી ઐતિહાસિક રથયાત્રા માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભારતની ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા નંબરની મહત્વપૂર્ણ ગણાતી આ રથયાત્રા આ વખતે 143મીવાર નિકળશે.
પાટણ નગરપાલિકા અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (GUDC) દ્વારા તૈયારીઓમાં કોઈ કચાશ રહે નહીં તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં ભૂગર્ભ ગટર લાઇન અને વોટર લાઇન નાખવાના કામમાં ખોદાયેલા માર્ગોની રાતોરાત મરામત કરાઈ છે.
નગરપાલિકા પ્રમુખની સૂચના બાદ તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. રથયાત્રાના રૂટ પર આવેલા તમામ ખસ્તાહાલ રસ્તાઓનું સમારકામ પૂર્ણ થયું છે, જેથી યાત્રા સરળતાથી પસાર થાય અને શહેરીજનોને કોઈ તકલીફ ન પડે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર