ગાંધીનગર, 20 જૂન (હિ.સ.) : રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી (આરઆરયૂ)એ આજે તેના ગુજરાત કેમ્પસમાં પેપરલેસ પરીક્ષા પ્રણાલી લાગુ કરી હોવાનું એક ક્રાંતિકારી પગલું જાહેર કર્યું છે. યુનિવર્સિટીએ ચારુસેટ યુનિવર્સિટી, ચાંગાના સહકારથી વિવિધ કાર્યક્રમોમાં પેપરલેસ પરીક્ષાઓ યોજી છે. આ પર્યાવરણમૈત્રી પરીક્ષા પ્રક્રિયામાં કુલ 1,341 વિદ્યાર્થીએ ભાગ લીધો, જે યુનિવર્સિટીની નવીન્ય અને પર્યાવરણ માટેની જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. આ પહેલ યુનિવર્સિટીના શૈક્ષણિક માળખામાં પર્યાવરણીય સ્થિરતા અને કામગીરીની અસરકારકતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું છે.
પેપરલેસ પરીક્ષા પદ્ધતિનો અમલ પર્યાવરણીય જવાબદારી અને શૈક્ષણિક પ્રક્રિયાઓના સુધારા પ્રતિ આરઆરયૂની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. યુનિવર્સિટીનો હેતુ માત્ર પર્યાવરણ પર પડટી વિપરીત અસરને ઓછું કરવાનો નથી, પરંતુ પરીક્ષાની પ્રક્રિયા ઝડપી બનાવવી અને પરિણામોની ઝડપી જાહેરાત સુનિશ્ચિત કરવાનો પણ છે. આ નવીન પગલાંને કારણે ઉત્તરમૂલ્યાંકન અને પરિણામ પ્રક્રિયામાં લાગતો સમય નોંધપાત્ર રીતે ઘટશે, જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને લાભ થશે. આ ટેક્નોલોજી અપનાવવાના પરિણામે આરઆરયૂએ સાત કાર્યદિવસની અંદર પરિણામ જાહેર કર્યું છે. ચારુસત યુનિવર્સિટી, ચાંગા સાથેનો સહકાર શિક્ષણક્ષેત્રે સંયુક્ત નવીનતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
પેપરલેસ પ્રણાલીમાં પરિવર્તનથી અનેક લાભ મળવાની શક્યતા છે, જેમ કે, કાગળના વપરાશમાં ઘટાડો, જે પર્યાવરણીય સ્થિરતાને વધારશે, ઉત્તરમૂલ્યાંકનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થવાની, પરિણામ વહેલાં જાહેર કરવા માટે,પરીક્ષા પદ્ધતિમાં વધુ સુરક્ષા અને ડેટા મેનેજમેન્ટની શક્યતા.
યુનિવર્સિટી તમામ વિદ્યાર્થીઓને સરળ અને કાર્યક્ષમ પરીક્ષા અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે. અમે પેપરલેસ પરીક્ષા પદ્ધતિ શરૂ કરીને ગૌરવ અનુભવી રહ્યાં છીએ, આરઆરયૂના પ્રવક્તાએ કહ્યું. આ પહેલ અમારા વિદ્યાર્થીઓ અને પર્યાવરણની સુખાકારી માટે ટેક્નોલોજી અપનાવવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અમે આત્મવિશ્વાસ સાથે કહી શકીએ કે આ નવી પદ્ધતિ પરીક્ષાનો અનુભવ વધુ સારો અને યાદગાર બનાવશે અને એક વધુ સુરક્ષિત ભવિષ્યમાં નોધપાત્ર યોગદાન આપશે.
રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી (આરઆરયૂ) વિશે:
પેપરલેસ પરીક્ષા પદ્ધતિનો અમલ માત્ર પરીક્ષા પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવશે નહીં, પરંતુ કાગળના ઉપયોગમાં ઘટાડો કરીને એક હરિત અને સંરક્ષિત કેમ્પસ વાતાવરણને પણ પ્રોત્સાહન આપશે. આ પહેલ વૈશ્વિક સ્તરે શૈક્ષણિક સંસ્થાઓમાં ડિજિટલ પરિવર્તન અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને અનુરૂપ છે. યુનિવર્સિટી ભવિષ્યમાં પણ તેની શૈક્ષણિક સેવાઓને વધુ સમૃદ્ધ બનાવવા અને એક હરિત ભવિષ્ય તરફ યોગદાન આપવા નવીન ઉકેલો શોધવાનું ચાલુ રાખશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ