નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.) શિવસુબ્રમણ્યમ રમણે, શુક્રવારે સત્તાવાર રીતે
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ)ના ચેરમેન
તરીકેનો કાર્યભાર સંભાળ્યો. કેન્દ્ર સરકારે તેમની નિમણૂક, પાંચ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર
સુધી, જે પણ પહેલા હોય
ત્યાં સુધી કરી છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં આ માહિતી આપી.
ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ સર્વિસ (આઇએએંડએએસ)ના 1991 બેચના અધિકારી
રમણ, નાણાકીય નિયમન, જાહેર નાણાં અને
ટેકનોલોજીમાં દાયકાઓનો અનુભવ ધરાવે છે. પીએફઆરડીએ માં જોડાતા પહેલા, તેમણે ભારતના
નિયંત્રક અને ઓડિટર જનરલના કાર્યાલયમાં ડેપ્યુટી કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ અને
ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે સેવા આપી છે.
તેમણે આ પહેલા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ
ઇન્ડિયા (સીડબી)ના ચેરમેન અને
મેનેજિંગ ડિરેક્ટર, નેશનલ ઇ-ગવર્નન્સ
સર્વિસીસ લિમિટેડ (એનઈએસએલ)
ના મેનેજિંગ
ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ઝારખંડ રાજ્યના, પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ
જનરલ સહિત અનેક નેતૃત્વ પદો સંભાળ્યા છે. આ ઉપરાંત, 2006 થી 2013 ના સમયગાળા માટે, તેમણે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયામાં ચીફ
જનરલ મેનેજર (સીજીએમ) અને ત્યારબાદ
એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી.
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ એક્સ પોસ્ટ પર
જણાવ્યું હતું કે,” અમને જાહેરાત કરતા આનંદ થાય છે કે, શિવસુબ્રમણ્યમ રમણે આજે પીએફઆરડીએ
ના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. પીએફઆરડીએ ભારતના પેન્શન
ક્ષેત્રમાં સુધારા અને નવીનતા ચલાવી રહ્યું છે, જેથી બધા માટે નાણાકીય સુરક્ષા
સુનિશ્ચિત કરી શકાય, અમે તેમના
માર્ગદર્શનની રાહ જોઈ રહ્યા છીએ.”
નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે,” જાહેર નાણાં, ટેકનોલોજી અને
નાણાકીય નિયમનમાં તેમના વિશાળ અનુભવ સાથે, રમણ ભારતની પેન્શન પ્રણાલીને મજબૂત બનાવવા અને તમામ નાગરિકો
માટે નિવૃત્તિ સુરક્ષાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યમાં પીએફઆરડીએને માર્ગદર્શન
આપશે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ