નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે, શુક્રવારે ઉપરાષ્ટ્રપતી એન્ક્લેવ ખાતે રાજ્યસભા ઇન્ટર્નશિપ કાર્યક્રમના સહભાગીઓને સંબોધતા, 25 જૂન, 1975 ના રોજ લાદવામાં આવેલી કટોકટીને ભારતીય લોકશાહીનો સૌથી કાળો દિવસ ગણાવ્યો. તેમણે કહ્યું કે, આ દિવસને હવે બંધારણ હત્યા દિવસ તરીકે યાદ કરવો જોઈએ, જેથી ભાવિ પેઢી લોકશાહી મૂલ્યોનું મહત્વ સમજી શકે.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, 1975 માં, 25 જૂનની મધ્યરાત્રિએ, તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે, વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના આદેશથી દેશમાં કટોકટી જાહેર કરી હતી. આ બંધારણનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું કારણ કે રાષ્ટ્રપતિ માત્ર વડા પ્રધાન જ નહીં, પણ મંત્રી પરિષદ સાથે પરામર્શ કરીને નિર્ણયો લે છે.
ધનખડે કહ્યું કે, કટોકટી દરમિયાન, એક લાખથી વધુ નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી અને થોડા કલાકોમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેમાં ઘણા લોકો હતા જે પાછળથી દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજ્યપાલ, વૈજ્ઞાનિક અને વહીવટી અધિકારી બન્યા.
ઉપરાષ્ટ્રપતિએ, નવ હાઈકોર્ટના ચુકાદાઓને ઉથલાવી દેવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની ટીકા કરતા કહ્યું કે, આ નિર્ણય ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસનો સૌથી કાળો નિર્ણય હતો. આ નિર્ણયે સરમુખત્યારશાહી, અધિનાયકવાદ અને નિરંકુશતા ને પ્રોત્સાહન આપ્યું. તેમણે એ પણ યાદ અપાવ્યું કે, તે સમયે પ્રેસની સ્વતંત્રતા પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો હતો અને ઘણા પ્રતિષ્ઠિત અખબારોને ખાલી સંપાદકીય પાના પ્રકાશિત કરવા પડ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિએ માહિતી આપી કે, વર્તમાન સરકારે 11 જુલાઈ, 2024 ના રોજ એક સત્તાવાર સૂચના બહાર પાડી છે અને 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે. આ નિર્ણય ભારતના પ્રજાસત્તાક બન્યાના 75મા વર્ષની ઉજવણી માટે લેવામાં આવ્યો છે, જેથી જનતા લોકશાહીના મૂલ્યનો અહેસાસ કરી શકે. ધનખડે કહ્યું કે, ભારત એક એવો દેશ છે જ્યાં દરેક વ્યક્તિને પોતાના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે, પરંતુ ધર્માંતરણ માટે લાલચ આપવી કે લલચાવવી એ આપણી સભ્યતા માટે ખતરો છે. તેમણે કહ્યું કે, જો આવું કરવામાં આવે તો આપણો પાયો હચમચી શકે છે.
ઉપરાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વસંધ્યાએ યોગના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે, યોગ ફક્ત એક દિવસ માટે નથી, તે દરેક દિવસની દરેક ક્ષણ માટે છે. યોગ તમને દરેક દુ:ખમાંથી મુક્તિ આપશે, દરેક પાપથી શુદ્ધ કરશે. ધનખડે 2014 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસનો પ્રસ્તાવ મૂકવા બદલ અને માત્ર 75 દિવસમાં 177 દેશો દ્વારા આ પ્રસ્તાવ પસાર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી. તેમણે યુવાનોને યોગને તેમના જીવનમાં અપનાવવાની અપીલ કરતા કહ્યું કે, તે શરીર અને મન બંનેને સ્વસ્થ રાખે છે. રાજ્યસભાના સેક્રેટરી જનરલ પીસી મોદી, અધિક સચિવ ડૉ. કેએસ સોમશેખર અને અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ