વલસાડના કોસંબામાં સરકારી આયુર્વેદ દવાખાના દ્વારા શાળામાં યોગ શિબિર યોજાઇ
વલસાડ, 20 જૂન (હિ.સ.)- ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રેરિત નિયામક આયુષ કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત અને વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ વિશ્વ યોગ દિવસની 100 દિવસ ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયતના કોસંબા સ્થિત આ
Valsad


વલસાડ, 20 જૂન (હિ.સ.)- ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રેરિત નિયામક આયુષ કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત અને વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ વિશ્વ યોગ દિવસની 100 દિવસ ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયતના કોસંબા સ્થિત આયુર્વેદ દવાખાના દ્વારા માધ્યમિક શાળા કોસંબા ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.

મેડિકલ ઓફિસર ડૉ.સ્વાતિ ચૌધરી દ્વારા બાળકોને અષ્ટાંગ યોગ વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યુ હતું. યોગનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે. શરીર, મન, બુદ્ધિ, ચિત્તને અષ્ટાંગ યોગના નિયમિત પાલનથી સંતુલિત કરી આત્મા સુધી પહોંચવાનુ વિજ્ઞાન એટલે યોગ. યોગમાં નિયમિતતા ખૂબ જરુરી છે. અષ્ટાંગ યોગમાં (1) યમ - અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. (2) નિયમ- શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઇશ્વરપ્રણિધાન (3) આસન (4) પ્રાણાયમ (5) પ્રત્યાહાર (6) ધારણા (7) ધ્યાન (8) સમાધિ. આ મુખ્ય આઠ અંગોના ગુઢ જ્ઞાનને જાણવું, સમજવું અને નિયમિતપણે પાલન શારીરિક, માનસિક, ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિથી મોક્ષ સંભવ છે. વસુધૈવ કુટુંબકમનું સૂત્ર એકમાત્ર યોગ દ્વારા જ સાકાર થઈ શકે છે. આત્મશાંતિથી જ વિશ્વશાંતિ સંભવ છે. યોગમાં નિયમિતતા જરુરી છે.

ભવિષ્યનું જીવન બાળકો-યુવાઓ માટે પડકારજનક અને સ્પર્ધાત્મક છે. હાલ બાળકો અને યુવાઓમાં આત્મહત્યાનું વધતુ પ્રમાણ યોગથી નિયંત્રણમાં આવી શકે છે. જેથી શાળા-કોલેજોમાં નિયમિત અઠવાડિયામાં બે દિવસ યોગ સેશનને અભ્યાસના ભાગરૂપે લેવામાં આવે. જેથી યોગને ઉંડાણપૂર્વક જાણી શકાય. નિયમિત 10 મિનિટનું ધ્યાન જીવનમાં પરિવર્તન લાવી શકે છે. આભામંડળ સ્વચ્છ થાય છે, ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક ઉર્જાથી સુરક્ષા અને શાંતિ મળે છે. સાથે સાથે પ્રાકૃતિક સંતુલન સ્થાપિત થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande