Gujarat, 20 જૂન (હિ.સ.)- રાજસ્થાન પત્રિકા ગૃપના સ્થાપક સ્વ. કર્પૂરચંદ્ર કુલિશજીના જન્મશતાબ્દિ વર્ષ નિમિત્તે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટીનમ હૉલ ખાતે 'કી-નોટ: 2025- ભારત, ભારતીય, ભારતીયતા' કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે,આપણે રાષ્ટ્રની ગૌરવશાળી વિરાસતના વારસદાર છીએ અને આપણા અણમોલ વારસાનું ગૌરવ લેવું એ આપણું કર્તવ્ય છે. ભારત માત્ર ભૌગોલિક સીમાઓ સુધી મર્યાદિત નથી,પરંતુ આપણા પ્રાચીન વેદ,પુરાણો,દર્શનશાસ્ત્રો અને તેના મૂલ્યો વિશ્વભરમાં માનવતાની શ્રેષ્ઠ સંસ્કૃતિના વાહક તરીકે સ્થાન પામ્યા છે. રાજ્યપાલએ કહ્યું કે,રાજસ્થાન પત્રિકા અખબારના સંચાલકો વૃક્ષારોપણ,જળસંચય અને સ્વચ્છતા અભિયાનમાં યોગદાન આપીને સામાજિક જવાબદારી પણ નિભાવી રહ્યા છે. તેમણે કહ્યું કે,સત્ય,અહિંસા,અપરિગ્રહ,સ્વાધ્યાય,સંતોષ,તપએ કોઈ પણ રાષ્ટ્રની સંસ્કૃતિના મૂળ આધાર છે. સંસ્કૃતિ વિના રાષ્ટ્રની કોઈ કિંમત નથી. જેમ શરીર અને આત્મા પરસ્પર પૂરક છે,જેમ આત્મા વિનાના શરીર અને શરીર વિનાના આત્માની કલ્પના ન થઈ શકે તેવી જ રીતે પ્રાચીન વિરાસત અને સંસ્કૃતિથી જ રાષ્ટ્ર જીવંત અને શાશ્વત રહે છે. સત્ય,કરૂણા,દયા અને માનવતા એ આપણી દિવ્ય સંસ્કૃતિનું પરિણામ છે. રાષ્ટ્રનું નિર્માણ વીર માતાઓના સતિત્વ અને વીર પુત્રોના પરાક્રમથી થાય છે. તેમણે સંસ્કૃતિ અને સભ્યતામાં અંતર હોવાનું જણાવીને બન્ને વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે તે માટેનું અભિયાન વેગવાન બન્યું છે. તેમણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોની ખરીદી કરવા સૌને અનુરોધ કર્યો હતો.
પત્રિકા સમૂહના ચેરમેન અને વિદ્વાન લેખક,ચિંતક ડો.ગુલાબ કોઠારીની રચનાઓ માનસિક,સામાજિક તેમજ આધ્યાત્મિક ઊંડાણ ધરાવે છે. નૈતિક પત્રકારિતા,આત્મશોધન,અને સંવેદનશીલ સમાજનું વિઝન તેમના લખાણોમાં સ્પષ્ટ જોવા મળે છે એમ જણાવી રાજ્યપાલએ સ્વ. કર્પૂરચંદ્ર કુલિશજીને સ્મરણાંજલિ પાઠવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 1956માં પ્રારંભ થયેલ પત્રિકા સમૂહ આજે 8 રાજ્યમાં 38 આવૃત્તિ સાથે વિશાળ વટવૃક્ષ બન્યું છે એમ જણાવી આ વર્ષે સરદાર પટેલ સાહેબ,ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ છે,ત્યારે રાજસ્થાન પત્રિકા ગૃપના સ્થાપક સ્વ. કર્પૂરચંદ્ર કુલિશના જન્મશતાબ્દિ વર્ષની ઉજવણી બદલ પત્રિકા સમૂહને શુભેચ્છા પાઠવી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાનો વિશ્વ સમસ્તને પ્રેરણા સંદેશ આપનાર ભારતે હંમેશા વિશ્વ શાંતિ,એકતા,સહિષ્ણુતા અને પરસ્પર સન્માનની ભાવનાને પ્રાધાન્ય આપ્યું છે. આપણે દુનિયાની સમગ્ર માનવજાતિ વચ્ચે ભેદ કરનાર નહીં,પણ સહઅસ્તિત્વ અને એકતાના પથ પર ચાલનારા લોકો છીએ,એમ જણાવી પરસ્પર ભાવ,પ્રેમ અને ભાઈચારો જાળવી રાખી ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને વધુ મજબૂત કરવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ પત્રિકાના ટૂંકા નામથી ઓળખાતું આ લોકપ્રિય અખબાર વહેલી સવારે આપણા ઘરે જ્ઞાનના પુષ્પો મોકલે છે. પત્રિકા સમૂહે સત્ય અને તથ્યની પત્રકારિતાનો માર્ગ પ્રશસ્ત કર્યો છે એમ જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌના સાથ,સૌના વિકાસ’ની ભાવનાને અખબારી પાને સાર્થક કરી હોવાનું જણાવ્યું હતું.
પત્રિકા સમૂહના ચેરમેન અને ચીફ એડિટર ડૉ. ગુલાબ કોઠારીએ જણાવ્યું હતું કે,પત્રિકા અખબાર માનવીય સંવેદના ધરાવતું જીવંત અખબાર છે. અમે પત્રિકા કાર્યાલયને મંદિર ગણી વાચકોને અખબારના આત્મા સ્વરૂપ મહત્વ આપ્યું છે. સમાજ અને સરકારને ઢંઢોળવા,સમાજહિત માટે અંગૂલિનિર્દેશ અને રાષ્ટ્રભાવનાને પ્રાધાન્ય આપવામાં અગ્રભૂમિકા નિભાવી છે. અખબારી આદર્શોને નજર સમક્ષ રાખી રાજસ્થાનથી શરૂ કરી દેશના બહોળા સમૂહ સુધી પહોંચ્યા છીએ.
આ પ્રસંગે રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, સમાજસેવિકા ડો.અમી યાજ્ઞિક, પત્રિકા સમૂહના નેશનલ હેડ શૈલેન્દ્ર તિવારી સહિત સમાજસેવકો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે