સુરત, 20 જૂન (હિ.સ.)- શહેરમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક 16 વર્ષીય કિશોરે પોતાના જન્મદિવસે જ ફાંસો ખાઈ આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં રહેતા આશુતોષ પ્રધાને જીવનની નવી શરૂઆત કરવા બદલે અંતિમ વિદાય લેતા સમગ્ર પરિવાર શોકમગ્ન બની ગયો છે.
મૃતકના પિતા વિનોદ પ્રધાન મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ 19 જૂન 2025ના રોજ પોતાના પુત્રના જન્મદિવસની ઉજવણી માટે કેક લઈને ઘરે પરત ફર્યા ત્યારે દ્રશ્ય જોઈ જર્જરિત બની ગયા — 16 વર્ષીય પુત્ર આશુતોષ ઘરમાં પંખે નાયલોનની દોરી વડે લટકતો જોવા મળ્યો.
તાત્કાલિક ઘટના સ્થળે ડિંડોલી પોલીસ પહોંચી હતી અને વિદ્યાર્થીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે. હાલ ઘટનાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન પ્રમાણે કોઈ ભેટ કે ખાનગી બાબતે મનદુખમાં આવી આત્મઘાત કર્યો હોવાની શક્યતા છે.
વિનોદ પ્રધાનના પરિવારમાં પત્ની, દીકરો અને 19 વર્ષની દીકરી છે, જે નજીકની હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. આશુતોષ અક્ષરદીપ સનરાઈઝ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. ઘટના વખતે તે ઘરમાં એકલો હતો અને બારીના પડદાનો એંગલ ઉપયોગ કરી તેણે નાયલોનની દોરી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.
આ કરૂણ ઘટના સમગ્ર શહેરમાં શોક અને ચિંતા વ્યાપી ગઈ છે. પોલીસ હાલ પરિવારજનોના નિવેદન લઈ રહી છે અને તપાસ બાદ આત્મહત્યાનું સાચું કારણ બહાર આવે તેવી અપેક્ષા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે