સુરત, 21 જૂન (હિ.સ.)- અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. નવચેતન વિદ્યાલય ખાતે સ્વયં અને સમાજ માટે યોગ થીમ હેઠળ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ થીમ યોગના વ્યક્તિગત લાભો અને સામાજિક સુમેળ સાધવામાં પર ભાર મૂકે છે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ દેશનું ભવિષ્યમાં બનનારા વિદ્યાર્થીઓમાં આરોગ્ય, સંતુલિત જીવનશૈલી અને સામાજિક જવાબદારી વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. અદાણી ફાઉન્ડેશન હજીરા બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ છે. વિદ્યાર્થીઓમાં યોગના સંસ્કારોનું સિંચન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કારણ કે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર જ રાષ્ટ્રનું ભવિષ્ય નિર્ભર છે. યોગાભ્યાસથી વિદ્યાર્થીઓને આરોગ્ય સાથે માનસિક શાંતિ અને એકાગ્રતા કેળવવાની ઉંડી સમજ પ્રાપ્ત થઈ હતી.
યોગ ઇન્સ્ટ્રક્ટર ઉર્વશીબેને વિદ્યાર્થીઓને વિવિધ યોગાસનોની પ્રેક્ટિકલ માહિતી આપી હતી. તાડાસન, વૃક્ષાસન, ભુજંગાસન અને સવાસનનું પ્રત્યક્ષ નિદર્શન કરી શ્વાસ નિયંત્રણની તકનીકો શીખવવામાં આવી હતી. ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડના વિદ્યાર્થીઓને તનાવમુક્ત કરતી મુદ્રાઓ પરીક્ષા સમયે ખૂબ જ સહાયરૂપ થાય છે.
યોગ સત્રમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા રસપ્રદ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટાપો અને દૈનિક જીવનમાં યોગનું મહત્ત્વ વિષય અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા અને પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. તેમાં સહભાગીઓએ આરોગ્યપ્રદ આહાર અને સ્વસ્થ જીવનશૈલી અપનાવતા ઉત્તમ વિચારો તથા કલાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું. આવા કાર્યક્રમો નવી પેઢીને માત્ર શારીરિક જ નહીં, પરંતુ માનસિક અને આધ્યાત્મિક રીતે ઉન્નત જીવન તરફ દોરી જાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે