-થવા ગામના વૃધ્ધ ગાલિબા તેના ખેતરે ખેતીકામ માટે જતા ફૂલવાડી નજીક નડ્યો અકસ્માત
-નેત્રંગમાં કોઈ મોટી હોસ્પિટલ નહી હોવાથી અંકલેશ્વર લઈ જતા રસ્તે જ મૃત્યુ થયું
-અકસ્માત બનાવનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
ભરૂચ 21 જૂન (હિ.સ.) નેત્રંગ તાલુકાના થવા ગામના વૃધ્ધની મોટરસાયકલ ફૂલવાડી તળાવ નજીક સ્લિપ મારી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.અકસ્માતમાં રસ્તા ઉપર પટકાતા ગંભીર ઈજાઓને કારણે વૃધ્ધનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ પરિવારના સભ્યોને થતા ઘટના સ્થળે દોડી આવી સારવાર માટે પ્રથમ નેત્રંગ અને વધુ તકલીફ હોવાથી તાત્કાલિક અંકલેશ્વર રિફર કરાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા તેમનું મૃત્યુ થયું હતું.
ભરૂચ જિલ્લાના નેત્રંગના થવા ગામના 71 વર્ષીય ઇશ્વર પ્રભાત વસાવા સવારના સમયે તેમની મોટરસાયકલ લઇને ગાલિબા ગામે આવેલ તેમના ખેતરે જવા નીકળ્યા હતા. તેઓ મોટરસાયકલ લઇને જઇ રહ્યા હતા તે અરસામાં સવારના સાડા દસેક વાગ્યાના અરસામાં ફુલવાડી અને બિલાઠા ગામની વચ્ચે એક શેરડીના ખેતર પાસે રોડ પર તેમની મોટરસાયકલ એકાએક લપસી ગઇ હતી. મોટરસાયકલ લપસી પડતા તેમાં સવાર ઈશ્વર વસાવા નીચે રસ્તા પર પડી ગયા હતા. આ ઘટના દરમિયાન તેમને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેઓ બેભાન થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં તેમના પરિવારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત ઇશ્વર વસાવાને સારવાર માટે એમ્બ્યુલન્સમાં નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયા હતા,જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વર ખાતે લઇ જવાયા હતા જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મરણ પામેલ જાહેર કર્યા હતા.આ ઘટના સંદર્ભે મૃતકના પુત્ર પરેશ ઇશ્વર વસાવા રહે.ગામ થવા તા.નેત્રંગ જિ.ભરૂચનાએ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ