સુરત, 21 જૂન (હિ.સ.)- સ્વામિનારાયણ ગુરૂકુલ-વેડ રોડ-સુરત ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી અંતર્ગત મેગા યોગ સેશન યોજાયું હતું. ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા યોગના મહિમાગાન અને ઉજવણીમાં સ્વામિનારાયણ ગુરૂકુલની નૈમિષારણ્ય ભૂમિ યોગમય બની ગઈ હતી. જેમાં વહેલી સવારે ઈન્ડોર અને આઉટડોર વિભાગમાં ૧૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ યોગાસન તથા પ્રાણાયામ કર્યા હતા. નિયમિત યોગ કરતા બાળકોએ વિવિધ અંગભંગિમા સાથે યોગનિદર્શન કર્યું હતું.
પૂ. ભક્તિસ્વામી, પૂ. પુરૂષોત્તમસ્વામી, પૂ. શુકમુનિસ્વામી સાથે આચાર્ય ઠેસિયા, સલિયા સહિત તમામ શિક્ષકો યોગાભ્યાસમાં જોડાયા હતા. બાળકોને યોગનો મહિમા સમજાવતા ભક્તિ સ્વામીએ જણાવ્યું કે, યોગ શરીર, મન અને આત્માને ઉર્જા, તાકાત, અને સૌંદર્યની ભેટ આપે છે. ભારતીય સંસ્કૃતિએ વિશ્વની સમગ્ર માનવજાતને યોગની અણમોલ ભેટ આપી છે. વિદ્યાર્થીકાળમાં દરરોજ કરાતો યોગ ફાયદારૂપ છે એમ આચાર્યએ કહ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે