-શ્રી ગણેશ સુગર તરફથી આવતા કોતરમાં કાળું ગંદુ પાણી આવતું હોવાનું અનુમાન
-કોતરનું પાણી અમરાવતી નદીમાં જાય છે અગાવ અંકલેશ્વર અને ઝઘડિયા જીઆઈડીસી સામસામે આવી હતી
-હજારો માછલા મૃત મળતા જીપીસીબી અંકલેશ્વરની ફરિયાદ કરાઈ
ભરૂચ 21 જૂન (હિ.સ.) વાલિયા તાલુકાના વટારીયા ખાતે રાજ્યધોરીમાર્ગ નંબર 13 ની બાજુમાં શ્રોફ કોલેજની પાછળના ભાગે અમૃત સરોવર બનાવવામાં આવ્યું છે.આ તળાવ 17 એકર જેટલા મોટા વિસ્તારમાં અને ઊંડુ પણ ઘણું છે. જેમાં લાખો લીટર વરસાદી પાણી સંગ્રહ થાય છે.આ તળાવના પાણીમાં કિનારા ઉપર તેમજ વરસાદી કોતરમાં શ્રી ગણેશ સુગર બાજુથી કાળુ ગંદુ અને ઝેરી પાણી આવતા તેમાં લાખો જળચર પ્રાણીઓ તેમજ માછલા મૃત પડેલા મળી આવ્યા હતા.આ ઘટના બાબતે એક અગ્રણી જાગૃત નાગરીકે જીપીસીબી અંક્લેશ્વરના આરઓ વિજય રાખોલીયાને ફોટો અને વિડિઓ મોકલી ટેલિફોનીક ફરિયાદ કરી છે.
વટારીયા એસઆર રોટરી શ્રોફ કોલેજની પાછળના ભાગે આવેલ 560 ચો મીટરમાં ફેલાયેલા અમૃત તળાવમાં કોઈએ પ્રદૂષિત ઝેરી પાણી છોડતા હજારો માછલા મૃત પડેલા જોવા મળ્યા છે. આ દૂષિત ઝેરી પાણી અમરાવતી નદીમાં આવે છે .જેમાં અગાવ દઢાલ , ઊછાલી અમરાવતી નદીના કિનારે લાખોની સંખ્યામાં ઘણી વખત જળચર જીવો મરી જવાથી અંકલેશ્વર અને ઝઘડિયા જીઆઈડીસી વચ્ચે ગજગ્રાહ ઉભો થયો હતો અને રસાયણિક વેસ્ટ નિકાલના આક્ષેપ સાથે બદનામ થયેલ છે. વટારીયાના તળાવમાં જળચર મૃત મળવા અને કેમિકલ વેસ્ટ કોતરમાં છોડવા બાબતે જીપીસીબી યોગ્ય અને બારીકાઈથી તેમજ ચોક્કસ તપાસ કરે તો તેમાં ઘણું મળી શકે તેમ છે.
વટારીયાના તળાવમાં માછલા મરી ગયેલા છે તેના માટે મારી ટીમ મોકલી સેમ્પલ લઈ આગળની તપાસ કરાવું છું.જે પણ જવાબદાર હશે તેની ઉપર ચોક્કસ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.વિજય રાખોલીયા આરઓ અંકલેશ્વર
આ અમૃત સરોવરમાં ઝેરી પાણી નાખી અમૃતને ઝેર બનાવી દીધું છે.તળાવનું પાણી આખું વર્ષ અમારા ગામના લોકો અને ઢોર ઢાખર માટે પીવામાં ઉપયોગી થાય છે તેને પણ ઝેરી બનાવી દેતા આ માછલા મરી ગયા છે અમારે પણ તકલીફ પડશે.જવાબદારો સામે કાર્યવાહી કરવી જ જોઈએ.સ્થાનિક ગ્રામજન
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ