મોડાસા, 21 જૂન (હિ.સ.) સાબરકાંઠા જિલ્લાનો જિલ્લાકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ સાથે હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં મનોરમ્ય વાતાવરણમાં ઉજવણી સંપન્ન થઈ હતી.
આ કાર્યક્રમમાં મંત્રી એ જણાવ્યુ હતું કે ‘યોગ: કર્મસુ કૌશલમ્’ સૂત્રમાં કર્મયોગનું ચિંતન રજૂ થયું છે. યોગ એ આપણી પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ભેટ છે. યોગ થકી શરીર અને આત્માનું જોડાણ શક્ય બને છે. આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી નિમિત્તે યોગાભ્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વધુમાં ઉમેર્યુ હતુ કે યોગ એ માત્ર વ્યાયામ નથી, યોગ ભારતીય સંસ્કૃતિનો આધ્યાત્મિક સ્તંભ છે, જેનો ઈતિહાસ હજારો વર્ષો જૂનો છે. યોગ માત્ર શરીર નહીં, મન, આત્મા અને બ્રહ્માંડ વચ્ચેના સમન્વયનો માર્ગ છે. વિશ્વની સમસ્ત માનવજાતને તેનો લાભ મળે તેવા ઉમદા આશયથી યુનાઇટેડ નેશન્સની મહાસભાએ ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો અને ત્યારથી એટલે કે, ૨૧ મી જૂન, ૨૦૧૫ થી દર વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. વિવિધ યોગાસન પ્રસ્તુતિ થકી વાતાવરણ યોગમય બન્યું હતુ. કાર્યક્રમમાં ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું યોગદિન નિમિત્તે લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ શોભાનાબેન બારૈયા, ધારાસભ્ય વી ડી ઝાલા, નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, પોલિસ અધિક્ષક વિજય પટેલ, અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, પ્રાંતિજ પુર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તથા પદાધિકારિ-અધિકારીશ્રીઓ, પોલિસ સ્ટાફ, શાળાના વિધ્યાર્થીઓ સહિત શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ