'સ્ટીક યોગા'ના માધ્યમથી મહિલાઓને શારીરિક અને માનસિક મજબૂતીના પાઠ શીખવતા, અમદાવાદના અંકિતાબહેન રાણા
ગાંધીનગર, 21 જૂન (હિ.સ.) : આપણા મન અને શરીર ઉપર યોગના ઘણા સકારાત્મક ફાયદા થાય છે. યોગ એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ કસરત છે. તેથી જ યોગના ફાયદા જાણીને સમગ્ર વિશ્વએ પણ યોગનો સ્વીકાર કર્યો છે. યોગની લોકપ્રિયતા જોતા વર્ષ 2015થી દર વર્ષે તા.
અંકિતાબેન રાણા


અંકિતાબેન રાણા


ગાંધીનગર, 21 જૂન (હિ.સ.) : આપણા મન અને શરીર ઉપર યોગના ઘણા સકારાત્મક ફાયદા થાય છે. યોગ એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ કસરત છે. તેથી જ યોગના ફાયદા જાણીને સમગ્ર વિશ્વએ પણ યોગનો સ્વીકાર કર્યો છે. યોગની લોકપ્રિયતા જોતા વર્ષ 2015થી દર વર્ષે તા. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આપણી આસપાસ યોગ કરતા એવા ઘણા લોકો હશે જે લોકોના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં અને યોગ સાધનાને લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. આવા જ એક મહિલા એટલે અમદાવાદના અંકિતાબહેન રાણા, જેઓ પોતાના યોગ સાધનાના કૌશલ્યથી શહેરની મહિલાઓને યોગ અને મહિલા સશક્તિકરણના પાઠ શીખવે છે. અંકિતાબહેન છેલ્લા 5 વર્ષથી યોગ ક્ષેત્રમાં કાર્યરત છે અને યોગના માધ્યમથી તેઓ મહિલા સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે.

અંકિતાબહેનના પ્રાણાયામ, ધ્યાન અને યોગના પાઠ મહિલાઓમાં શરીરને સ્વસ્થ રાખવા, વજન ઘટાડવા જેવા ઘણા બધા પ્રકારના ફાયદાઓ કરાવે છે. અંકિતાબહેને યુરોપિયન દેશમાં પરંપરાગત કાર્યક્રમમાં યોગ કરીને ભારત દેશનું પ્રતિનિધિત્વ કરેલું છે. કાંકરિયા કાર્નિવલ જેવા કાર્યક્રમ અને અન્ય ખાનગી સંસ્થાઓમાં તેઓ યોગની સાધનનો પ્રચાર કરીને યોગનો દુનિયાભરમાં પ્રચાર કરે છે. કોરોના કાળમાં અંકિતાબહેને યોગનો બહોળો પ્રચાર કર્યો હતો. કોરોના કાળમાં ઉપયોગી બને તેવા યોગાસન અને પ્રાણાયામની મદદથી તેમણે લોકોને આરોગ્યને લગતી ઘણી મદદ કરી છે.

અંકિતાબહેન જીવનમાં યોગનો પ્રવેશ રસપ્રદ રીતે થયો હતો. તેઓ જીવનમાં આગળ વધવા માંગતા હતા, તેઓ પોતાની જાતને હંમેશા પ્રવૃત રાખવા માંગતા હતા. એક સમયે તેમણે વિચાર્યું હતું કે તેઓ જીમ જઈને પોતાની જાતને સ્વસ્થ અને પ્રવૃત રાખી શકે છે. પરંતુ, તે સમયમાં તેઓ યોગ અને સાધનાથી પરિચિત થયા હતા. શારીરિક કસરતો કરતા યોગાસનો તેમને શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ પણ આપતા હોય તેવી અનુભૂતિ તેમને થઈ હતી. યોગના ક્ષેત્રમાં ઝંપલાવતા પહેલા અંકિતાબહેન પોતાની સોસાયટીના એક રહીશની મદદથી લાકડીનો સેલ્ફ ડિફેન્સ માટે ઉપયોગ કરતા શીખ્યા હતા.

અંકિતાબહેનને યોગમાં ખૂબ જ રસ હતો. સમય જતા તેમણે યોગાસનમાં લાકડીનો ઉપયોગ કરીને વિવિધ આસનો કરવાનો પ્રયોગ કર્યો હતો. અંકિતાબહેન એક નવીન પ્રકારના 'સ્ટીક યોગાસન' કરવાનો પ્રયોગ કર્યો હતો. તેમણે અનુભવ્યું હતું કે, યોગાસનોમાં લાકડીની મદદથી ઢીંચણના દુખાવાની સમસ્યા, કમરના દુખાવાની સમસ્યા ઘટાડીને સ્ટ્રેચિંગ અને અન્ય શારીરિક કસરતો પણ કરી શકાય છે. ત્યારબાદ અંકિતાબહેને યોગના વર્ગ શરૂ કરીને નાની અને મોટી દરેક વયની મહિલાઓને આ સ્ટીક યોગાસનો શીખવવાની શરૂઆત કરી હતી. ધીમે ધીમે વધારે મહિલાઓ અંકિતાબહેનના યોગાસનના વર્ગમાં જોડાતા ગયા અને યોગાના માધ્યમથી આ મહિલાઓની શારીરિક સ્થિતિમાં ઘણો સુધારો આવતો ગયો. હાલમાં અંકિતાબહેન દ્વારા કરાવવામાં આવતા આ સ્ટીક યોગા મહિલાઓમાં વજન ઘટાડવા માટે ઘણા ઉપયોગી અને લોકપ્રિય બન્યા છે.

અંકિતાબહેન સ્ટીક યોગા સાથે આત્મરક્ષા અને આત્મસન્માનના મહિલા સશક્તિકરણના પાઠ પણ શીખવે છે. જ્યારે અંકિતા બહેને યોગા શીખવવાનું શરૂ કર્યું ત્યારે તેમણે વિચાર્યું ન હતું કે મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો તેમની સાથે જોડાશે. પરંતુ સમય જતા ઘણી મહિલાઓ અને બાળકો તેમની સાથે જોડાતા ગયા અને સ્ટીકના માધ્યમથી કરવામાં આવતી યોગસાધનાના ફાયદા લોકોએ પોતાના જીવનમાં લીધા છે.

અંકિતાબહેન જેવા મહિલા અને યોગ કોચ આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે અન્ય મહિલાઓમાં યોગ દ્વારા તેમના જીવનને સમૃદ્ધ બનાવવાની ઈચ્છા ધરાવે છે. યોગને ફક્ત કસરત તરીકે જ જોવામાં ના આવે તો યોગ આત્મા અને શરીરને એકસાથે એકાગ્રતામાં પણ મદદ કરે છે. યોગ ફક્ત શરીરને મજબૂત બનાવવામાં જ મદદ કરતું નથી, પરંતુ મનની શાંતિ અને સુખાકારીની લાગણી પણ આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande