વડોદરા, 25 જૂન (હિ.સ.)-વડોદરાના સરદાર એસ્ટેટથી વૃંદાવન જતા માર્ગ પર દુર્દશાગ્રસ્ત રસ્તા એક જીવલેણ અકસ્માતનું કારણ બન્યા. 38 વર્ષીય અનિલભાઈ ઠાકોરભાઈ વસાવા પોતાની રિક્ષા લઇ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પડેલા ખાડામાં રિક્ષા પલટી જતાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું.
આ માર્ગ પર બ્રિજની કામગીરીના ભાગરૂપે પાણીની લાઇન ખોદવામાં આવી હતી, પરંતુ પછીથી યોગ્ય રીતે માર્ગ સમારકામ ન થતાં રસ્તા પર મોટા ખાડા રહી ગયા હતા. મ્યુનિસિપલ તંત્રની બેદરકારીનો ભોગ બનેલા અનિલભાઈ વડોદરાના બાપોદ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા અને પરિવારના એકમાત્ર ઉપાર્જક હતા.
અનિલભાઈને બે બાળકો — એક બે વર્ષની પુત્રી અને એક મોટી દીકરી છે. તેમના અવસાનથી પરિવાર પર આકાશ તૂટ્યું હોય એવું માહોલ સર્જાયો છે. પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે