મોડાસા, 25 જૂન (હિ.સ.) પશુપાલન પોલિટેકનિક, કામધેનુ યુનિવર્સિટી, રાજપુર (નવા), હિંમતનગર ખાતે ધોરણ ૧૦ પછી ત્રણ વર્ષનો પશુપાલન પોલિટેકનિક અભ્યાસક્રમની ૧૨મી બેચ પૂર્ણ થઈ. આ બેચમાં સફળ થયેલ ૪૧ વિદ્યાર્થીઓ જીવનમાં સારી સફળતા મેળવે તે માટે આશિષ આપવા સાથે શુભ કામનાઓ પાઠવવા વિદાય સમારોહનું આયોજન કરાયું હતું.
ડૉ. આર. એમ. પટેલ, આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, હિંમતનગરના અધ્યક્ષ સ્થાને વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના આચાર્ય ડૉ. એલ.એમ. સોરથીયાએ સફળ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને વિદાય લઇ રહેલા વિદ્યાર્થીઓને જ્ઞાનની નજીક રહેવા માટે અને કેન્દ્રના દરેક પ્રધ્યાપોકો સાથે જીવંત સંપર્ક બનાવી જરૂરી સલાહ સુચન મેળવતા રહેવા અનુરોધ કર્યો હતો. તેઓએ વિદાય લઇ રહેલ વિદ્યાર્થીઓ માટે પોલિટેકનિકના દ્વાર હંમેશા ખુલ્લા રહેશે તેવી ખાતરી ઉચ્ચારી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડૉ. અજય રાવલે જણાવ્યું હતું કે, જીવનમાં વાંચનનું મહત્વ સમજાવતું પ્રેરણાદાયક દિક્ષાન્ત ઉદ્દબોધન આપ્યું અને સતત શીખવાનું મહત્વ જણાવી વિદ્યાર્થીઓને ઉત્તમ જીવન માટે પ્રોત્સાહિત કર્યા હતા. ડૉ. આર.એમ. પટેલે વિધાર્થિઓને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી તથા નૈતિક મૂલ્યો અને ઈમાનદારીથી કાર્ય કરવાનું સમજાવ્યું હતું. વિદાય સમારંભમાં સર્વાંગી શ્રેષ્ઠ પ્રદર્શન બદલ શ્રીમતી જિનલ શાંતિલાલ ચૌધરીને “વર્ષની શ્રેષ્ઠ વિદ્યાર્થી” તરીકે સન્માનિત કરવામાં આવી. કાર્યક્રમના અંતે ડૉ. પી.પી. મકવાણા, એકેડેમિક ઇન્ચાર્જે આભાર વિધિ કરી હતી. કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓના કેમ્પસ પ્લેસમેન્ટ માટે Mankind Pharma Ltd. અને LIC India કંપનીઓ આવેલ હતી. કંપનીના પ્રતિનિધિઓએ તેમની કંપની વિશે માહિતી આપી, કંપનીમાં ડિપ્લોમા વિદ્યાર્થીઓ કેવી રીતે કામ કરી શકે તે સમજાવ્યું. બંને કંપનીઓને ડીપ્લોમા હોલ્ડર્સની જરૂર છે અને તેઓ આગામી દિવસોમાં ઈન્ટરવ્યૂ યોજશે તેમ જણાવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ