મોડાસા, 25 જૂન (હિ.સ.) : સંવિધાન હત્યા દિવસની 50 વર્ષ પૂર્ણ થતા સંસ્મરણા અર્થે અરવલ્લી જિલ્લામાં આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનનીય મંત્રી ભીખુસિંહજી પરમારની વિશેષ ઉપસ્થિતિમાં કટોકટીના સમયગાળાને યાદ કરીને લોકશાહીના મૂલ્યો અને સંવિધાનની ગરિમાને ઉજાગર કરવામાં આવી.
1975માં લાદવામાં આવેલી કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી ભીખુસિંહજી પરમારે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કટોકટીનો સમય ભારતના લોકશાહી ઇતિહાસનો એક કાળો અધ્યાય હતો. આ સમયે નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવાયા હતા અને સંવિધાનનું ઉલ્લંઘન થયું હતું. આ દિવસ આપણને લોકશાહીના મહત્ત્વની યાદ અપાવે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સતર્ક રહેવાનું શીખવે છે.તેમણે યુવા પેઢીને સંવિધાનના મૂલ્યોનું જતન કરવા અને લોકશાહીને મજબૂત કરવા માટે પ્રેરિત કર્યા.
આ કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા,નિવાસી અધિક કલેક્ટર ડી.વી.મકવાણા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એન.કુચારા તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સામાજિક સંગઠનોના સભ્યો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લોકશાહીના મૂલ્યોને જાળવી રાખવા અને સંવિધાનની રક્ષા કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો. આ કાર્યક્રમએ નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા અને લોકશાહીના મહત્ત્વને ઉજાગર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ