પાટણ, 25 જૂન (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના કનવેંશન હોલમાં 25મી જૂનના બંધારણ હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની અધ્યક્ષતા પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ કરી હતી, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ, પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું.
સંવિધાન તજજ્ઞ અવનીબેન આલે 25મી જૂનના ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અંગે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે, 1975માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદવામાં આવી હતી, જે સંવિધાન માટે કલંકરૂપ બની. તે સમયે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રેસ પર નિયંત્રણ, નાગરિક અધિકારોનું સ્થગન અને સમાજસેવકોની ધરપકડ જેવા અનેક કડક પગલાં લેવાયા હતા.
સાંસદ ભરતસિંહ ડાભીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં જણાવ્યું કે, તેઓ દેશનું ભવિષ્ય છે અને લોકશાહીને મજબૂત કરવાની જવાબદારી તેમની છે. ભૂતકાળમાંથી શીખીને સોનેરી ભવિષ્ય માટે કાર્ય કરવું જોઈએ. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, નિવાસી અધિક કલેકટર વી.એસ. બોડાણા અને સંગઠનના પ્રમુખ રમેશ સિંધવ સહિત અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્યભરના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર