પાટણ, 25 જૂન (હિ.સ.)પાટણમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાની તૈયારીઓ ઊર્જા અને ભક્તિભાવ સાથે ચાલુ છે. શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને રથયાત્રા સમિતિ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મંગળવારે રાત્રે મંદિર પરિસરમાં પીંડારીયા વાડા આનંદ ગરબા મંડળ દ્વારા ભક્તિમય ગરબા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહેનોએ માતાજીનો ગરબો માથે મૂકી શક્તિ સ્વરૂપાનું ગાન કર્યું હતું. બુધવારે મંદિરના ગર્ભગૃહમાં ₹1,43,000ની ભારતીય ચલણી નોટોથી ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો.
આ શૃંગારમાં મંદિર ટ્રસ્ટીઓ, પુજારીઓ અને ભક્તોએ સહભાગિતા કરી હતી. આ અનોખા શૃંગારના દર્શન કરવા માટે ધર્મપ્રેમી નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રથયાત્રાના અવસરે ભક્તોમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર