સુરત, 25 જૂન (હિ.સ.)-સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કામરેજના નનસાડ રોડ પર આવેલી ઓમ નગર સોસાયટી સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખાડીના ભરાવા કારણે ઘરના દરવાજા સુધી પાણી પહોંચી ગયા છે અને સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે.
આ વિસ્તારમાં રહેવાસીઓ માટે એકમાત્ર જવાની સરળ રસ્તો પૂલ હતો, જેમાં હવે ભંગાણ સર્જાયું છે. પૂલનું ગાબડું દિવસેને દિવસે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. બીજી બાજુ, બીજો વિકલ્પરૂપ રસ્તો — જે રાજેશ્વરી સોસાયટીમાંથી પસાર થાય છે — સ્થાનિકો દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ઓમ નગરના રહીશો પૂરતી મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.
સ્થાનિક લોકો સતત તંત્ર સમક્ષ મદદની અરજ કરી રહ્યાં છે, પરંતુ હજુ સુધી કોઇ અસરકારક પગલાં લેવાયા નથી. મહિલાઓ, બાળકો અને વયસ્કોને આ પાણીમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. લોકોની માગ છે કે તાત્કાલિક રેસ્ક્યૂ અને માર્ગ સુધારાના પગલાં લેવામાં આવે, જેથી જાનમાલનું નુકસાન અટકાવી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે