શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ સૂત્રાપાડા તાલુકાના ગોરખમઢી, કદવાર અને ધામળેજ ગામમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવતાં મંત્રી
ગીર સોમનાથ 26 જૂન (હિ.સ.) રાજ્યભરમાં આજથી શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ અંતર્ગત પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ગોરખમઢી, કદવાર અને ધામળેજ ગામમાં બાળકોને શાળામાં પ્રવેશ કરા
Gir Somnath jilama


ગીર સોમનાથ 26 જૂન (હિ.સ.)

રાજ્યભરમાં આજથી શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ અંતર્ગત પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ગોરખમઢી, કદવાર અને ધામળેજ ગામમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. તેમજ આંગણવાડીમાં પ્રવેશપાત્ર નાના બાળકોને શાળા તરફની પા..પા.. પગલી ભરાવી હતી.

ચોમાસાના ખુશનુમા વાતાવરણ અને અરુણોદય વચ્ચે શાળામાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણની સર્વોત્તમ સુવિધાઓ છેવાળાના માનવી સુધી પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ છે.

નવી શિક્ષણનીતિ હેઠળ બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય તે માટે સમય અનુકૂલ સુધારાઓ દ્વારા આધુનિક સુવિધાઓ છેવાડાના ગામ સુધી પહોંચાડવામાં આવી રહી છે.

મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને શીખ આપતાં જણાવ્યું હતું કે, આપણે પોતાનામાં વિશ્વાસ જગાવવાનો છે, 'હમ કિસી સે કમ નહીં' ના મંત્ર દ્વારા આપણે બીજાથી ઉતરતા કે ઉણા ઉતરતા નથી, તે આપણી મહેનત અને પરિશ્રમથી સાબિત કરવાનું છે.

કન્યા કેળવણી માટે રાજ્ય સરકારે લીધેલા પગલાઓની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આજે શાળા પ્રવેશોત્સવ દરમિયાન દીકરીઓએ પર્યાવરણની રક્ષા સહિતના વિષયો પર પોતાના આત્મવિશ્વાસ સાથે જે રીતે રજૂઆત કરી છે, તે કન્યા કેળવણી ક્ષેત્રે કેવું પરિવર્તન આવ્યું છે તેનું દ્યોતક છે.

દીકરીઓ માતાના ઉદરમાં હોય ત્યારથી જ તેની કાળજી લઈને તે સંપૂર્ણ શિક્ષણ મેળવે ત્યાં સુધીની સુવિધાઓ ઉપલબ્ધ કરીને કન્યા કેળવણી પર રાજ્ય સરકાર ભાર આપી રહી છે. શિક્ષણની ક્ષિતિજોનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે તેનો મહત્તમ લાભ લેવા તેમણે ઉપસ્થિત વાલીઓને અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પુરુષાર્થ, પ્રયત્ન અને સાચી લગનથી જો અગ્રેસર બનવામાં આવે તો ચોક્કસ સફળતા મળે છે. કોઈપણ ક્ષેત્રમાં મહેનતથી આગળ વધીએ તો આપણને કોઈ રોકી શકશે નહીં.

મંત્રીશ્રીએ પોતાના શિક્ષક તરીકેના અનુભવો વર્ણવતાં જણાવ્યું હતું કે, એક શિક્ષક જ્યારે સંપૂર્ણ તૈયારીઓ સાથે પોતાની પાસે જે છે, તેને પોતાના વર્ગખંડના વિદ્યાર્થીઓને આપવાનો પ્રયત્ન કરે છે, ત્યારે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે એક અનોખો ઋણાનુબંધ બંધાય છે. જેનાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો સંચાર થાય છે. જેને લીધે વિદ્યાર્થીઓની જ્ઞાનપીપાસાને વધુ સારી રીતે સંતોષી શકાય છે.

મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા શાળાએ જતાં બાળકો માટે પરિવહન, આહાર સહિતની જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે તેની માહિતી આપી હતી. મંત્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિ અને ગામના લોકો પાસેથી શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ વિશેની જાણકારી પણ મેળવી હતી.

આ ઉપરાંત, મંત્રીએ શાળામાં પ્રયોગશાળા, મધ્યાહન ભોજન, ભારતીય સંસ્કૃતિ સહિતના વર્ગખંડોની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓની જાણકારી મેળવી હતી. તેમણે શાળામાં ઉત્કૃષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું મેડલ આપીને સન્માન કર્યું હતું. મંત્રીએ શાળામાં 'ગ્રીન ગુજરાત'ની વિભાવનાને સાર્થક કરતાં વૃક્ષારોપણ કર્યું હતું.

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના આ મહોત્સવ દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર રસીલાબેન વાઢેર, શાળાનો શિક્ષકગણ આચાર્ય તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande