પાટણ, 26 જૂન (હિ.સ.)રાધનપુર અને સાંતલપુર તાલુકામાં પાણી પુરવઠા બોર્ડની પાઇપલાઇનમાંથી થતા ગેરકાયદે જોડાણોને લઈ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેવી જાણકારી નાયબ કાર્યપાલક ઇજનેરે આપી છે. તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં પીવાના પાણીના મર્યાદિત સ્ત્રોત છે અને અસામાજિક તત્વો દ્વારા પોતાના ઘરો, ખેતરો કે સંસ્થાઓમાં ગેરકાયદે જોડાણો કરવામાં આવે છે, જેના કારણે આગળના ગામોને પૂરતું પાણી મળતું નથી.
બોર્ડ દ્વારા નર્મદા મુખ્ય નહેર આધારિત રાધનપુર-સાંતલપુર જૂથ યોજના હેઠળ પાણી સપુરવામાં આવે છે. રાજ્ય વિધાનસભાએ 20 ઓગસ્ટ 2019ના રોજ 'ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા સંરક્ષણ અધિનિયમ 2019' પસાર કર્યો છે, જેમાં ગેરકાયદે જોડાણ કરવું ગુનો ગણાય છે અને કાનૂની કાર્યવાહીનો પણ પ્રાવધાન છે.
વિભાગ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવશે. જો ગેરકાયદે જોડાણ મળશે તો દોષિત પાસેથી પાણી વપરાશની રકમ વસૂલવામાં આવશે અને રકમ નહીં ભરવામાં આવે તો મિલકત પર બોર્ડનો બોજો દાખલ કરાશે. ઉપરાંત, પોલીસ વિભાગને પણ જરૂરી કાર્યવાહી માટે જાણ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર